ભુજ
નખત્રાણા ભૂજ હાઇવે પર અને નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે, નવમી સદીમાં નિર્માણ પામેલું પુરેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. અંદાજિત ૧૨૦૦ વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસમાં ડોકિયું કરીએ તો,નવમી સદીમાં રાવ પુંઅરા નામના મહારાજાએ બનાવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાની લોકવાયકા ધરાવતું આ મંદિર કચ્છના હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. દંતકથા (લોકકથા) પ્રમાણે ઇ.સ.નવમી સદીનો બનેલો છે. તે વખતના નજીકના પદ્ધર ગઢના સ્થાપક રા-પુઅરા રાજાએ બનાવેલ તેથી તેનું નામ પુઅરેશ્વર પડયું કહેવામાં આવે છે. બીજી દંતકથા પ્રમાણે રા-પુઅરાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી. જેમનાથી સગાઈ થઈ એવા રાણી પરમ શિવભક્ત હતા અને તે પોતાના ભગવાન શિવને મુકીને જવા માંગતા ન હતા. તેથી તેમણે રાજા સામે એવી વાત મુકેલી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તો જ લગ્ન કરશે. રાણીના લગ્ન થયા અને શિવ મંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યું. જ્યારે પદ્ધર ગઢ પહોંચ્યા તો ત્યાં જાેયું કે ગઢનો દ્વાર નાનું હતું અને મંદિર વિશાળ હતું. એટલે રાણીને લાગ્યું કે, આ મંદિર અંદર આવશે કે કેમ? એટલે રાણીએ પાછું વળીને જાેયું. એટલે કહેવાય છે કે, મંદિર પદ્ધર ગઢથી બહાર જ રહી ગયું. આમ આ મંદિરની બે દંત કથાઓ હોવાનું બાદલ જાેશીએ કહ્યું હતું. ૨૦૦૧ માં ભુકંપની થપાટ ખાધા બાદ મંદિરની હાલત બે દાયકા બાદ પણ આ મંદિર જર્જરીત હાલતમાં અડીખમ ઉભું છે. શિવલિંગ ને કોઈપણ જાતનું નુકસાન થયેલ નથી.સરકાર દ્વારા આ પૌરાણિક મંદિરને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ સમારકામ ,કાળજી રાખવામાં કે જાળવણી લેવામાં આવતી ન હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે. આ મંદિર એકદમ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આજે તે અડીખમ ઉભું છે. આ મંદિર તેમના પૂર્વજાેએ નવમી સદી માં બંધાવ્યું હતું.અને કાળક્રમે આ મંદિરનો લગભગ તમામ ભાગ જર્જરિત હાલતમાં થઈ ગયેલ છે. સરકાર દ્વારા આ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જાહેર કરવામાં આવેલ છે. પણ કોઈ નક્કર પ્રયત્નો કરવામાં ન આવેલ હોવાથી આ જાહેરાત માત્ર કાગળ પર જ પ્રવાસન સ્થળ છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ઐતિહાસીક ધરોહરની જાળવણી માટે રાજ્ય સરકારે આ મંદિરના સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ, વૃક્ષારોપણ, બ્યુટીફીકેશન કામો અને પર્યટક સુવિધાની કામગીરી માટે એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે. પણ હજુ સુધી એક પણ રૂપિયાનું કામ થયું નથી તેમ નખત્રાણાના સામાજિક અગ્રણી અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું છે. આ મંદિરના મહંત ૧૦૦ વર્ષથી પણ વધુ ઉંમરના છે. તેઓ અને તેમના શિષ્ય આ મંદિરની સેવા પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ જગ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે .


