જૂનાગઢ
કેશોદ તાલુકાના અજાબ ગામમાં પીઠડ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં દરવાજાને તાળું મારવામાં આવતું નથી. જેથી તસ્કરોએ તેનો લાભ લઈ ગતરાત્રી દરમિયાન મંદિરમાં પ્રવેશ્યા હતા. જે બાદ માતાજીને ચડાવેલા ૭૫ હજારની કિંમતના ૨૦૦ નંગ ચાંદીના છતર અને ૪૦ હજારની કિંમતના ત્રણ સોનાના છતર મળી કુલ સવા લાખની કિંમતના સોના-ચાંદીના છતર ચોરી કરી નાસી ગયા હતા. આ દરમિયાન આજે સવારે ગામના વનરાજસિંહ ઉર્ફે મુકેશ મનુભાઇ મૂંડી પીઠડ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે છતર જાેવા મળ્યા ન હતા. જેથી તેમણે તુરંત સરપંચને મારફત પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ સ્ટાફે દોડી આવી તપાસ હાથ ધરી હતી. બાદમાં અજાણ્યા તસ્કરો સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગામના માતાજીના મંદિરમાં ચોરી થયાની વાત આસપાસના ગામોએ પ્રસરી જતા ભક્તો અને લોકોમાં રોષની લાગણી પ્રવર્તી ગઈ હતી.જૂનાગઢમાં કેશોદના અજાબ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાંથી અજાણ્યા તસ્કરોએ માતાજીને ચડાવવામાં આવેલા સવા લાખની કિંમતના સોના ચાંદીના છતરની ચોરી કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. માતાજીના મંદિરમાં ચોરીની ઘટનાથી ભાવિકોમાં રોષની લાગણી પ્રસરી છે.


