Gujarat

જામનગર જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિન” ની ઉજવણીના ભાગરૂપે પાંચ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું

 

 

જામનગર તા.૨૭જૂન, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા નશામુક્ત ભારત અભિયાનશરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.

 

તા. ૨૬-૦૬-૨૦૨૨ના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી ના ભાગ રૂપે જિલ્લા કક્ષાએથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારના તમામ વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૨૩-૦૬-૨૦૨૨ થી ૨૭-૦૬-૨૦૨૨ એમ કુલ પાંચ દિવસો દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિવિધ શાળાઓ અને ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સરકારી વાણિજ્યિક કોલેજ, કે.પી. શાહ લો કોલેજ અને એ.કે. દોશી મહિલા કોલેજ જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા નશા અને કેફી દ્રવ્યોથી દુર રહેવાની શપથ લેવડાવવામાં આવેલ હતી.

 

મહિલા શક્તિ કેન્દ્રખાતે કાર્યરત કર્મચારીઓ માટે નશા અને કેફી દ્રવ્યોથી થનારા નુકશાન અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તથા તેમના પરિવારોને નશાથી દુર રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

 

આણદાબાવા સેવા સંસ્થામાં રહેતા વિવિધ અંતેવાસીઓ દ્વારા શહેરના લીમડાલાઈન વિસ્તારમાં નશામુક્ત ભારત અભિયાન રેલીમાં નશાવિરોધી વિવિધ સુત્રોના બેનર સાથે સામાન્ય જનતાને નશા અને કેફી દ્રવ્યોથી થનારા નુકશાનથી માહિતગાર કરવામાં આવેલ.

 

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા એકમને અધીનસ્થ બાળ સંભાળ ગૃહો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ વગેરેના અધિકારીઓને વેબિનારના માધ્યમથી નશા અને કેફી દ્રવ્યોથી થનારા નુકશાન અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તમામને નશા અને કેફી દ્રવ્યોથી દુર રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

 

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા શહેરના રાજપાર્ક, જીલ્લા સેવા સદન-૦૪માં તેમજ સાધના કોલોની ખાતે આવેલ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ (બાળ અદાલત)માં સાઈનબોર્ડ રાખવામાં આવેલ હતું, જેમાં જિલ્લા સેવા સદન-૦૪માં સરકારી કચેરીઓમાં આવતા અરજદારો/લાભાર્થીઓને તેમજ બાળ  અદાલતમાં કેસ અંતર્ગત આવેલ વિવિધ પક્ષકારો અને વકીલોને નશા અને કેફી દ્રવ્યોથી દુર રહેવા અંગે સમજણ આપવામાં આવી હતી તથા તેમની પાસે તેઓ હવે થી કેફી/માદક દ્રવ્યોનું સેવન તથા નશાકારક પદાર્થોનું સેવન નહી કરી તેવી બાહેધરી રૂપે હસ્તાક્ષર લેવડાવવામાં આવેલ. આ અભિયાનને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયેલ અને સામાન્ય જનતાને આ સામાજિક બદીથી દુર રહેવા અંગેની સમજણ પણ મળેલ.

 

મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, નાયબ નિયામક, સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, નાયબ નિયામકશ્રી, ઈંડસ્ટ્રીયલ સેફટી જેવી વિવિધ સરકારી કચેરીઓમાં પણ નશામુક્ત ભારત અભિયાન અન્વયે કચેરીઓમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નશા અને કેફી દ્રવ્યોથી દુર રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *