જૂનાગઢ,તા.૨૯ જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વ સહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૨૭૩ સ્વસહાય જૂથોને રૂ. ૨.૮૦ કરોડના ધિરાણ બેંકો દ્રારા મંજૂર કરવામાં આવ્યા હતા.
દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથો માટે બેંક લીંકેજ અન્વયે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયાના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન કટારીયાએ જણાવ્યું કે, બહેનો દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બને તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. સાથે જ સહાય આપવામાં આવી રહી છે. તેમજ વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સખીમંડળો આર્થિક રીતે પગભર બને એ માટે રૂપિયા એક થી પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારશ્રી આ ધિરાણ આપવા થકી બહેનોના જીવન ધોરણમાં સુધારો આવી રહ્યો છે.
આ તકે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું કે, બહેનો આજે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બની છે ગૌરવભેર જીવન જીવે છે એ માટે કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓને આભારી છે.
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ કેશ ક્રેડિટ કેમ્પમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. જી. પટેલ, એલડીએમ, બીઓબી, એસજીબી રીજીયન કચેરીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એનઆરએલએમ ટીમ દ્વારા જેમાં ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રેખાબેન અઘેરાએ અને આભાર વિધિ ડીએલએમ શ્રી કિરણ વ્યાસે કરી હતી .


