ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તંત્રની પોલ ખોલી નાખી છે રાજ્યમાં વરસાદનું આગમન થતા રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર ખૂલ્લો પડે છે. તો બીજી તરફ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીને લઇને પણ સવાલો ઉભા થાય છે. ત્યારે આજે વાત કરીએ તો વરસાદનાં કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બનતા રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પરનો જેતપુર પાસે આવેલ ભાદર નદીનો બ્રીજ ડેમેજ થતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
રાજકોટ પોરબંદર જોડતાં નેશનલ હાઇવે પર જેતપુરનાં નવાગઢ પાસે આવેલો બાયપાસનો પુલ ડેમેજ થતાં દોડધામ મચી હતી. મોટી હોનારત સર્જાઇ તે પહેલાં હાઇવે ઓથોરિટી દ્વારા વાહનોને આજ પુલની બાજુમાં આવેલ વર્ષો જૂના પુલ ઉપર ડાયવર્ઝન આપી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ વર્ષ 2016 માં હાઇવે ઓથોરિટી દ્વારા નવો બનાવવામાં આવ્યો હતો ત્યારે લોકાર્પણ કરી ખુલ્લો મુકાયાના માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ તૂટી ગયો હતો.લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા.ત્યારે સાંસદ ધડુકનાં હસ્તક્ષેપ બાદ રીપેર થયેલા પુલનું ફરી વાર લોકાર્પણ સાંસદ રમેશ ધડુક દ્વારા કરવામાં આવ્યું હતું જેનો એક વર્ષ જેટલા સમયમાં જ ફરી વાર પુલ ડેમેજ થયો છે માત્ર 6 વર્ષમાં બે વાર ડેમેજ થયેલા પુલ નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના લોકોએ તેમજ આગેવાનોએ આક્ષેપો કર્યા હતાં.
વર્ષ 2016 આ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો છ વર્ષમાં બે વાર પુલ ડેમેજ થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. હાઇવે ઓથોરિટી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને બ્રિજને થયેલાં નુકશાનનો તાગ કાઢવાની સાથે રીપેરીંગના સંદર્ભમાં આયોજન હાથ ધર્યું હતું.


