Gujarat

જેતપુરના મંડલીકપુર ગામ પાસે ટ્રકે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ૧ વૃદ્વાનું મોત

જેતપુર
રાજકોટ નજીક જેતપુર તાલુકાનાં મંડલીકપુર ગામ પાસે ટ્રકે છકડો રિક્ષાને ઠોકરે લેતાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જેતપુરનાં વૃદ્વાનું મોત થયું હતું, તેમજ તેમની બાર વર્ષની ભાણેજને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે વૃદ્વાના પુત્રની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલાં ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. જેતપુરમાં કેનાલ કાંઠે જનતાનગરમાં રહેતાં રોશનબેન સિદ્દીકભાઈ ખીરા નામનાં વૃદ્ધા સવારના સાત વાગ્યા આસપાસ જામનગરનાં કનસુમરા ગામ પાસે દીકરીના સાસરીયાના ઘર નજીક સમુહલગ્ન હોય તેમાં હાજરી આપવા નીકળ્યાં હતાં અને બીજા દિવસે ઘરે પરત આવી જવાનાં હતાં. બીજા દિવસે ઘરે પરત ફરતા હતાં ત્યારે મંડલીકપુર ગામ પાસે છકડો રિક્ષાને લીલી તાલપત્રી બાંધેલા અજાણ્યા ટ્રકના ચાલકે ઠોકર મારતાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રોશનબેનનું મોત થયું હતું જયારે તેની સાથે રહેલી તેમની ભાણેજ મુસ્કાન ગફારભાઈ ખીરા (રહે, કનસુમરા,જામનગર)ને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં તેને માથામાં ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર જેતપુરના વૃદ્ધા રોશનબેનને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેઓ દિકરીના ઘર પાસે પ્રસંગમાં ગયાં બાદ પરત ફરતાં હતાં ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી. આ મામલે વૃદ્વાના પુત્ર સિકંદર સિદ્દીભાઈ ખીરાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *