દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરામાં રહેતા એક આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમણે અમદાવાદમાં ટેસ્ટ કરાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઇ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.સ્થાનિક કક્ષાએ કોઇ પણ વ્યક્તિ તેમના સંપર્કમાં ન હોવાની માહિતી મળતાં સૌએ રાહત અનુભવી છે. ફતેપુરા તાલુકામા શિક્ષક તરીકે નોકરી કરતા એક ૫૭ વર્ષિય આધેડને બાય પાસ સર્જરી કરાવવાની હતી.જેથી તેઓએ તારીખ ૧૫ ડિસેમ્બર રોજ અમદાવાદ મુકામે દવાખાને ગયા હતા.જ્યાં દવાખાનામાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ઓપરેશન પહેલાં તેમના તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.જેમાં કોરોનાનો ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો.જેમાં તેમને આંશિક લક્ષણો દેખાતા જ હતા ત્યારે રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.જેથી હાલ તેમનુ આપરેશન પડતું મુકવામાં આવ્યુ છે અને તેઓએ અમદાવાદ ખાતે જ હોમ આઇસોલેશનમાં હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે. ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુરેશ આમલીયાર અને તેમની ટીમે તેમના નિવાસ્થાનની મુલાકાત લેતાં તેમને અહીં કોઇ વ્યક્તિ ન મળતાં ટેલીફોનીક સંપર્ક કરીને જાણકારી મળેવવામાં આવી છે.તેમની તબિયત હાલ સ્થિર અને સુધારા પર હોવાનુ જાણવા મળ્યુ છે ત્યારે એક પણ વ્યક્તિ તેમના સંપર્કમાં આવ્યો હોય તેવુ ન હોવાથી સ્થાનિક કક્ષાએ હાશકારો થયો છે.કોરોનાનો કયો વેરિઅન્ટ છે તે જાણી શકાયુ નથી પરંતુ હાલ સુધારા પર છે. જેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેઓ શિક્ષિત હોવાથી તેમણે કોરોનાના બંન્ને ડોઝ લીધેલા છે પરંતુ તેમણે બુસ્ટર ડોઝ હજી સુધી ન લીધો હોવાની માહિતી મળી છે.ત્યારે જેમણે રસીકરણ કરાવ્યુ છે તેમને પણ ફરી કોરોના થઇ શકે છે તે આ કિસ્સા પરથી સમજી શકાય તેવી બાબત છે. ત્યારે સાવધાન રહેવુ આવશ્યક છે.


