સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢમાં અનેરી લોકચાહના મેળવનાર એક પોલીસ અધિકારી અને શિક્ષકે કર્યું આવું કામ
સારૂં કાર્ય કોઇપણ કરતાં હોય તેમને બિરદાવ્યા વગર કેમ રહી શકીએ. જુનાગઢ માં એક અલગ જ લોકચાહના મેળવનાર પોલીસ અધિકારી ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબના સત્કાર્યની તમામ લોકોએ નોંધ લેવી જોઈએ.
ગુજરાતમાં પ્રતિવર્ષ ગીરનારની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળાનું અનેરું મહત્વ છે. ચાલુ વર્ષે ગુજરાત સરકારે મેળાને મંજુરી આપતા, સૌરાષ્ટ્રમાં મેળાને લઈ અનેરો ઉત્સાહ હતો. જુનાગઢમાં આવેલા એમ પી શાહ ગવર્મેન્ટ બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના બાળકોએ જ્યારે મેળા વિશે સાંભળ્યું ત્યારે તેમના મનમાં પણ મેળામાં ફરવા જવાનો અને આનંદ માણવાનો ઉમળકો ઉભરાઈ આવ્યો હતો. તેમણે તો ક્યારેય મેળો માણ્યો જ ન હતો. પરંતુ તેમણે એક રેખાચિત્ર પોતાના મનમાં ઊભું કર્યું. જેણે જીવનમાં ક્યારેય રંગ અને પ્રકાશ જોયો નથી તેવા બાળકોને પોતાના ઉદ્યોગ શિક્ષક દિનેશ સુથાર પાસેથી મેળાની કથા સાંભળી ત્યારે બાળકોએ કહ્યું સાહેબ અમારે મેળામાં જવું છે, અમારે સંતોને મળવું છે અને શિવના દર્શન કરવા છે.
દિનેશ સુથાર કહે છે કે, મારા માટે આ સાવ અનઅપેક્ષિત ઘટના હતી, પણ બાળકોના મનમાં ઊભા થયેલા મેળાના ચિત્રમાં હું કેવી રીતે રંગ પુરી શકું તે એક પ્રશ્ન હતો. મેળામાં લાખો લોકો આવે છે. વાહનવ્યવહારને પણ નિયંત્રીત કરવામાં આવે છે તેવી સ્થિતિમાં અંધ શાળાના વિદ્યાર્થીઓને મેળામાં લઈ જવા તે પણ એક મુશ્કેલી જનક કામ હતું. બાળકોનું મન રાખવા મેં જુનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો. મને ખબર હતી લાખોની મેદની સંભાળવાના બંદોબસ્તમાં પ્રદીપસિંહ જાડેજા રોકાયેલા હતા છત્તા અમે તેમને ફોન કરવાનું સાહસ કર્યું. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા કહે છે કે, અંધ શાળાના શિક્ષકનો ફોન આવ્યો ત્યારે તેમની ઈચ્છા અને વ્યથા મને બંને સમજાઈ ગઈ. મને લાગ્યું કે જે બાળકોએ દુનિયા જોઈ નથી તે ભવનાથનો મેળો માણે તેના કરતા મોટી કોઈ શિવરાત્રી હોઈ શકે નહીં. શાળાની મર્યાદા એવી હતી કે, શાળા પાસે કોઈ વાહન ન્હોતું અને ખાનગી વાહનમાં બાળકો આવે તો ખાનગી વાહનને ચોક્કસ અંતરે રોકાઈ જવું પડે તેમ હતું. આથી એસપી સાહેબશ્રી સાથે સંકલન કરી અમે પોલીસ પાસે રહેલી એક બસ સ્કૂલમાં મોકલી અમારા પોલીસ જવાનો શાળાના દસ બાળકોને લઈને મેળામાં આવ્યા.
સવારે 11 વાગ્યે ભવનાથના મેળામાં પહોંચેલા બાળકોએ બંધ આંખે ભવનાથ મંદિરમાં દર્શન કર્યા. મેળામાં વાગતા સંગીત, વાજીંત્રો અને શોરબકોરને તેમણે હૃદયથી સાંભળ્યા. સવારનું ભોજન ખોડિયાર આશ્રમમાં પંગતભેર બેસીને લીધું. ભવનાથના મેળામાં જવાની અનેકોને ઈચ્છાઓ હોય છે. પણ શિવના આદેશ વગર શિવદર્શન થતા નથી, આ રીતે ગીરનારીનો આદેશ થયો, બાળકો ભવનાથ પહોંચ્યા અને પ્રદિપસિંહ જાડેજા સાહેબ તથા દિનેશ સુથાર સાહેબ તેના નિમિત બન્યા


