જલારામબાપાની આજે 141મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા
યાત્રાળુઓ માટે જલાબાપાની જગ્યામાં દર્શન, અન્નક્ષેત્ર બન્ને ખુલ્લા રહેશે.
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત, શુરા અને દાનવીરોની ભૂમિ. વિશ્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જલારામબાપાની આજે 141મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખશે.યાત્રાળુઓ માટે જલારામબાપાની જગ્યામાં દર્શન, અન્નક્ષેત્ર બન્ને ખુલ્લા રહેશે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામબાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે, જલારામબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર 202 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે.
પૂજ્ય સંતશ્રી જલારામ બાપાએ 20 વરસની ઉંમરે 18/11/1820 ના રોજ વિરપુરમાં હરિહરની શરૂઆત કરી હતી. જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે. બાપાને સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબહેન, એમના પુત્ર કાળાભાઈ, એમના વારસ એટલે હરિરામબાપા, દોહિત્ર હરિરામમાં ચમકારો જોયો અને પોતાની હયાતીમાં જ એમને વિરપુર ગાદીના રખેવાળ તરીકે પસંદ કર્યા હતા. છપ્પનીયા દુષ્કાળ સમયે વિરપુરના અન્નક્ષેત્રની નામના ટોચ ઉપર પહોંચી હતી..એ હરિરામ બાપાના પુત્ર ગિરધરરામ બાપાની કમાલ હતી.એ પછી વિરપુરના ગાદીપતિ તરીકે એમના પુત્ર જયસુખરામ બાપા બિરાજમાન થયા હતા.
જલારામબાપાના પ્રપૌત્ર જયસુખરામબાપાએ 22 વર્ષ પહેલાં મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કર્યું હતું. મંદિરમાં કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યાં વગર પણ 22 વર્ષથી સદાવ્રત ચાલે છે. વર્ષે જલારામબાપાના સદાવ્રતમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે, પણ હજી સુધી સદાવ્રતના અન્નના ભંડારમાં ક્યારેય ઊણપ આવી નથી. દાન વગર સદાવ્રત ચાલી રહ્યું છે ત્યારે ભોજન સામગ્રી ક્યાંથી આવી રહી છે એ આજે પણ એક રહસ્ય છે.
આજે મહા વદ દશમીને 26 ફેબ્રુઆરીએ શનિવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણ પણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે,પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલારામબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે


