રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં માતા સાથે કામ બાબતે ઝઘડો થતાં ૧૬ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બની છે. જંગલેશ્વર વિસ્તારમાં શેરી નં. ૧૧માં રહેતી સગીરાએ પોતાના રૂમમાં જઈ છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં રૂમ ખખડાવતા ન ખોલતા ડરી ગયેલી માતા બાજુમાં રહેતા તેના ભાઈને ઘરે દોડી ગઈ હતી. મહિલાએ બનાવની જાણ કરતાં તેના ભાઈએ મકાનની પાછળથી ઉપર ચડી છત તોડીને તપાસ કરતા દીકરીને લટકેલી હાલતમાં જાેઈ હતી. બાદમાં પુત્રીને નીચે ઉતારી તાત્કાલિક પ્રથમ ખાનગી અને બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. મારી બહેન માનસિક બિમારી પીડાતા હોવાથી ભાણેજ સાથે અવાર-નવાર ઝઘડો કરતા હતા. ગઇકાલે સવારે બન્ને કારખાને કામે જવા માટે શેરીમાં બેઠા હતાં ત્યારે તેમની માતાએ ઠપકો આપતા માઠુ લાગી આવ્યું હતું અને રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઈ-બહેનમાં મોટી હતી. તેમના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જંગલેશ્વરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેનાર ૧૬ વર્ષની સગીરાના પિતાનું આઠ મહિના પહેલા જ મોત થયુ હતું. બાદમાં તેમની માતાની માનસિક સ્થિતી પણ ખરાબ થઈ જતાં બે નાનાભાઈ-બહેન અને માતાની જવાબદારી સગીરા પર આવી ગઈ હતી. નાની ઉંમરે કારખાનામાં કામ કરીને જવાબદારી નિભાવતી હતી. પરંતુ માતાની બિમારીથી અવાર-નવાર થતાં ઝઘડાથી કંટાળી પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


