રાજકોટ
રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ૭ મહિના પહેલા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. બાદમાં ૪ ઓક્ટોબરે તેઓએ ફરી ઘરવાપસી કરી કોંગ્રેસમાં જાેડાયા છે. ત્યારે રાજકોટ આવીને ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી પર ચોંકાવનાર આક્ષેપો કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મને તો મોટો હોદ્દો આપ્યો હતો એ પૈસા માટે આપ્યો હતો, મેં ન દીધા એટલે સભાના બેનરમાંથી મારા ફોટા પણ કાઢવા માંડ્યા હતા, તેમને મારી પાસે રોકડાની અપેક્ષા હતી, આવી તો નીતિ-રીતિ છે. નાના કાર્યકર્તાઓની સભાઓ યોજે પણ મારી ન યોજે. ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે, મારો આર્થિક ઉપયોગ કરવા એ લોકોએ પ્રયત્ન કર્યો હતો. હું મારા પૈસા ચોક્કસ વાપરું છું, પણ એ લોકહિતના કામ માટે. પક્ષનો કોઈ કાર્યક્રમ હોય તો હું વાપરું છું. પણ કોંગ્રેસે મારી પાસે કોઈ રોકડાની અપેક્ષા નહોતી રાખી. મને કેમ પણ કરીને ભાજપ અહીં ન રહે તે એક માટે બે રાજ્યમાં તેની સરકાર બનાવેલી છે તો મને એમ હતું કે કાંઈક સિસ્ટમ બનાવેલી હશે. પણ એ સિસ્ટમમાં ખૂબ ખોટું બોલવાનું અને આપણે ભ્રષ્ટાચારી નથી એવો ભ્રમ ફેલાવવાનો, આપણે નબળા માણસોને મોટા ચહેરા તરીકે રજૂ કરવાના આવું હતું. સરવે થયો એ પહેલા હું પાર્ટીમાં ગયો ત્યારથી ઈસુદાન સીએમના ચહેરા તરીકે નક્કી હતા. ભગવંત માનમાં પણ આવું કરવામાં આવેલું એવું મને જાણવા મળ્યું હતું. એટલે આવું બધુ ખોટું કરવું, લોકોને મુર્ખ બનાવવાથી મોટો ગુનો કાંઈ પણ ન હોય શકે. જેમ કે, જે લોકોને મુર્ખ બનાવી શકે તે લોકોને છેતરી પણ શકે. ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે, મારી વફાદારી હંમેશા કોઈ પક્ષને રહી નથી, મારી પહેલી વફાદારી સમાજે ગરીબ બ્રાહ્મણ રહેવા દીધો નથી એટલે ભાર એનો જ રાખું છું. જે લોકોના હિતમાં હશે એ પક્ષમાં રહીશ. કોંગ્રેસમાં જાેડાતા ખોટા માણસો વચ્ચે ફસાઈ ગયેલો માણસ આઝાદી પામે એવી રીતના ખૂબ આનંદ આવે છે. કમ સે કમ કોંગ્રેસમાં ખોટું બોલવાની ફરજ કોઈ દિવસ પાડવામાં આવતી નથી. કોંગ્રેસમાં ખુલ્લીને બોલી શકાય છે. આપમાં બને ત્યાં સુધી હું ચૂપ જ રહેતો હતો. કેમ કે, ખોટું મારે બોલવું નહોતું એટલે એક પ્રકારનો મૂંઝારો થતો હતો. એટલે ખોટો માણસ અને ખોટી પાર્ટી અંતે તો સારું કાર્ય કરશે જ નહીં. ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલ પોતાના હિતનું જ વિચારે છે એવું મારું માનવું છે. કેજરીવાલ એમ કહે છે કે, સીએમ તરીકેનો ચહેરો ઈસુદાનને જાહેર કર્યો એટલે હું કોંગ્રેસમાં જતો રહ્યો તો શું હું ચાર કલાકમાં જ કોંગ્રેસમાં જાેડાવા દિલ્હી પહોંચી ગયો? તુરંત જ ત્યાં જઈને મેં નક્કી કરી નાખ્યું, કોઈ વાતચીત કર્યા વગર? આવું તો ન જ હોય. પરંતુ મને એ લોકોની નીતિ-રીતી, નબળા માણસને મોટો કરવો જેમ ભાજપ કરે છે. જયનારાયણ વ્યાસ જેવા મજબૂત માણસને ભાજપમાંથી ફેંકી દેવામાં આવ્યા છે. ચાલો મને એકને આવું થયું હોય તો બરોબર છે. પણ સુરતના મહેશ સવાણી પણ એક દાખલો છે. આગળની વાત કરીએ તો કનુભાઈ કલસરીયા આ બધા જે સાચા માણસો છે તે ખરા અર્થમાં અમે એવા લોકો છીએ કે લોકોનું હિત ઈચ્છીએ છીએ. પણ મેં હવે ભૂલ સ્વીકારી લીધી અને મારા ઘરમાં પાછો આવી ગયો. ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે, મારું સ્ટેન્ડ કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે, મારે લડવું કે નહીં. પણ મારી અંગત ઈચ્છા એવી છે કે, મારે ચૂંટણી લડવી નથી. મારો પ્રશ્ન મારી તાકાત દેખાડવાનો નથી. મારી વાત હંમેશા એક રહી છે કે લોક હિતની વાત માટે ઉભું રહેવાનું છે. આપમાં ઘણા લોકોને ગુંગળામણ થાય છે, તે આવતા દિવસોમાં આવશે તો તેને પણ કોંગ્રેસમાં ભેળવવામાં આવશે. તે લોકો તૈયાર જ છે અને હું પણ લઈ આવીશ. ઈસુદાનના બદલે ઈન્દ્રનીલની લોકચાહના ન વધી જાય એટલે માનસિકતાને લઈ મારી સભાઓ નહોતા કરતા. ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોને મારી પાસે રોકડાની પણ અપેક્ષા હતી. મારું કહેવાનું એ છે કે, એ લોકો તો હોદ્દો વેચે છે. આજે ટિકિટો પણ વેચે છે. એ બી ટીમ તરીકે વર્તે છે. ૧૫ ટિકિટ મેં માગી હતી તેમાં મારા કોઈ નહોતા. એ એવા લોકો હતા જે ભાજપ સામે મજબૂતાઈથી લડી શકે. ગેરંટી કોને કહેવાય સરકાર આવે તો. સરકાર ન રચાય તો ગેરંટીનો સવાલ જ આવતો નથી. લોકો ભાજપને હરાવવા માગે છે અને કોંગ્રેસ જ તેને હરાવશે.


