સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હવે ખૂબ જ પ્રેમ, હેત અને વાત્સલ્યભાવથી થશે વડીલોનું જતન. સાવરકુંડલા શહેરમા મહુવા રોડ સ્થિત સુપ્રસિદ્ધ પ્રાચીન સ્મારક ગીરધરવાવના પરિસર ખાતે શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા એક સગવડદાયક વૃંદાવન ધામ સમું ગિરધર ઘરનું લોકાર્પણ પ્રખર રામાયણ કથાકાર અને વંદનીય પ. પૂ. મોરારીબાપુનનાં હસ્તે તારીખ ૩ જી જૂન અને શુક્રવારે સવારે ૯-૪૫ કલાકે કરવામાં આવશે.
આ પ્રસંગને યાદગાર બનાવવા સાંજે સ્વર સંધ્યા કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં ખ્યાતનામ જૂના સાર્થક હિન્દી ફિલ્મી ગીતોની જમાવટ થશે.
આમ તો જીવનની ઢળતી શામ અર્થાત જીવન સંધ્યા માટે શાંત, સલામત અને સુરક્ષિત, સુવિધાપૂર્ણ, સારવારયુક્ત આ વૃધ્ધાશ્રમનું નિર્માણ વડીલો પ્રત્યેનું એક આગવું સોપાન જ ગણાય. આ સુંદર નયનરમ્ય રૂપકડાં ગિરધર ઘરનાં જમીન અને બાંધકામના સખાવતી દાતાશ્રી પ. પૂ. શ્રી ગિરધરબાપા, સ્વ. શ્રી બાલકૃષ્ણભાઈ રતિલાલ ગાંધી, સ્વ. શ્રી ઈન્દુબેન બાલકૃષ્ણભાઈ ગાંધી હસ્તે શ્રી પ્રકાશભાઈ બાલકૃષ્ણ ગાંધી, શ્રી મુકેશ તુલસીદાસ પારેખ, શ્રી મધુસુદન તુલસીદાસ પારેખ છે. આજના હાઈટેક યુગમાં વડીલોની સેવા અને વાત્સલ્યપૂર્ણ વહેવાર એ ખૂબ જરૂરી છે. જીંદગીની ઢળતી સંધ્યાએ ખૂબ સુખ અને શાંત રીતે જીવન પસાર કરવું ખૂબ દોહ્યલું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ વાત્સલ્યધામની રચના કરવામાં આવી છે. માતૃ દેવો ભવઃ પિતૃ દેવો ભવઃ એ પ્રાચીન સંસ્કૃતિ અને વારસાને જાળવી આપણી કૌટુંબિક જીવનમાં મધુરતા લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ છે એવું ખાતરીપૂર્વક કહી શકાય. સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને ઉપપ્રમુખ અમિત મગીયાના અથાગ પ્રયાસો અને સદભાવના સાથે આ સંસ્થા ભવિષ્યમાં એક વટવૃક્ષ બની દેશને વડીલોના સ્નેહ, વાત્સલ્ય, આદર અને સન્માન માટે એક નવો આયામ સિધ્ધ કરતું અનોખું દ્ર્ષ્ટાંત પૂરૂં પાડશે. . પ્રારંભિક તબક્કામાં અહીં ૩૦ જેટલા વડીલોનું જતન અને માવજત થશે.. સંસ્થાએ ક્વોલિટી બેઝ સેવા આપવા પ્રતિબધ્ધતા દર્શાવી છે. આ પુનિત કાર્યમાં દાતાશ્રીનો સહયોગ આવકાર્ય રહેશે એમ ભરતભાઈ જોષીએ જણાવ્યું હતું.

