રાજકોટ
દેશને આઝાદી અપાવવા માટે શહીદ થનારા શહીદોને યાદ કરી વતનના વિસરાયેલા વીરોની વાત મારફત શ્રદ્ધાંજલિ આપવા વિરાંજલિ સમિતિ દ્વારા રાજકોટમાં વિરાંજલિ નાટકનું આયોજન કરાયું છે. આ મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જ્યાં ભાજપ નેતા ઋત્વિજ પટેલે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પોલિટિકલ પાર્ટીઓ શહીદોના નામે રાજકારણ કરે છે. વિરાંજલી સમિતિ દ્વારા શહીદોની ગાથા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી ૨ એપ્રિલનો રવિવારના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે નાટક ‘વિરાંજલિ’ યોજાશે. જાણીતા શહીદોની જાણી અજાણી વાતો યુવાનો અને લોકો સુધી પહોંચાડવા માટે વિરાંજલિ સમિતિ દ્વારા વિરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિરાંજલિ સમિતી ના ૧૫૦થી વધુ લોકોની ટીમ દ્વારા નામી-અનામી કલાકારો સાથે શહીદોની યાદમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં લોકોનો જબરો પ્રતિસાદ મળતા ગુજરાતમાં અલગ અલગ ૧૦ શહેરોમાં વિરાંજલિ કાર્યક્રમ કરવા નક્કી કરવામાં આવ્યું છે જે સમિતી દ્વારા આગામી ૨ એપ્રિલના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અને આગામી ૧૦ એપ્રિલના રોજ કચ્છ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનો ક્રાંતિવીરો ઉપરનો પ્રથમ મલ્ટી મીડિયા શો છે. જેમાં ૧૮૫૭ થી ૧૯૩૧ સુધીની ક્રાંતિની ગાથા અલગ રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાતના ૧૦ શહેરોમાં પ્રથમ રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦૦ કલાકારો અને આખી સમિતિના ૧૫૦ જેટલા લોકો દ્વારા દેશભક્તિ ફીલ કરાવવામાં આવશે. આ એક અનુભવ છે જેના થકી આવનારી પેઢીને નવી દિશા આપશે સ્યુસાઇડ મેન્ટાલિટીથી બહાર કાઢવામાં આવશે. ત્યારે દેશનો દીકરો કે દીકરી શું કરી શકે એ વિચાર અહીંયા રજૂ કરવામાં આવશે. વિરાંજલિ સમિતિના પ્રણેતા પ્રદીપસિંહ વાઘેલા નિર્મિત વિરાંજલિ કાર્યક્રમ ૨૩ માર્ચે અમદાવાદના કર્ણાવતી કલબ બાદ ૨૪ માર્ચે નિકોલ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ નિહાળવા આખું ગ્રાઉન્ડ લોકોથી ભરાઈ ગયું હતું. જેઓને જગ્યા ન મળી તેઓએ બહાર રોડ પર લગાવેલી સ્ક્રીન પર આખો કાર્યક્રમ નિહાળ્યો હતો.
