મહારાષ્ટ્ર
મુંબઈમાં જમીન કૌભાંડ કેસમાં કેટલાંક કલાકોનાં દરોડા પછી શિવસેના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેમનાં નિવાસસ્થાનથી તેમની અટકાયત કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ અગાઉ ઈડ્ઢએ રાઉત વિરુદ્ધ અનેક સમન્સ જારી કર્યા હતા, તેમને ૨૭ જુલાઇએ પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. રાઉતને મુંબઈમાં એક ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતાઓ અને તેમની પત્ની અને અન્ય ‘સાથીદારો’ સાથે સંકળાયેલા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડ્ઢ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. રાઉત આ મામલે પોતાનું નિવેદન નોંધાવવા માટે ૧ જુલાઈના રોજ મુંબઈમાં એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ પછી એજન્સીએ તેમને બે વાર સમન્સ મોકલ્યા હતા, પરંતુ વર્તમાન સંસદ સત્રમાં વ્યસ્ત હોવાના કારણે હાજર થયા ન હતા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કર્મચારીઓ સાથે ઈડ્ઢના અધિકારીઓ રવિવારે સવારે ૭ વાગ્યે રાઉતના ભાંડુપ ઉપનગરય નિવાસસ્થાન ‘મૈત્રી’ પર પહોંચ્યા હતા અને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રાજ્યસભાના સભ્ય રાઉતે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે રાજકીય બદલો લેવા માટે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઇડીની કાર્યવાહીના થોડા સમય બાદ તેમણે ટ્વીટ કર્યું, ‘હું સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની શપથ લઈને કહું છું કે મારો કોઈ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી.’ તેમણે લખ્યું, ‘હું મરી જઈશ, પણ શિવસેના નહીં છોડું.’ દરોડા દરમિયાન મોટી સંખ્યામાં શિવસેનાના સમર્થકો રાઉતના ઘરની બહાર એકઠા થયા હતા અને એજન્સીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સમર્થકોએ તેમના હાથમાં ભગવા રંગના ધ્વજ અને બેનરો સાથે એજન્સી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
