રશિયા
પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. તેઓ દૂતાવાસની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્ય પેલેસ્ટાઈનના રમલ્લાહમાં આવેલા ભારતીય દૂતાવાસમાં તૈનાત હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ૨૦૦૮ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મુકુલ આર્યએ અગાઉ કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસોમાં સેવા આપી હતી. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યના નિધન પર વિદેશ મંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના નિધન અંગે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. વિદેશ મંત્રીએ મુકુલ આર્યને તેજસ્વી અધિકારી ગણાવ્યા. હાલમાં મુકુલ આર્યના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારતીય અધિકારી રહસ્યમય કારણોસર દૂતાવાસની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ પેલેસ્ટાઈન સરકારે મુકુલ રાયના મોતના તપાસના આદેશ આપ્યા છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યના નિધનના સમાચારથી વિદેશ મંત્રાલય સ્તબ્ધ છે. અમે ભારતીય વિદેશ મંત્રાલયનો સત્તાવાર રીતે સંપર્ક કરી રહ્યા છીએ જેથી મૃતક રાજદૂતના પાર્થિવ શરીરને તેમના દેશ પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે. બીજી તરફ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને વડા પ્રધાન ડૉ. મુહમ્મદ શતયેહે આરોગ્ય અને ફોરેન્સિક મેડિસિન મંત્રાલય તેમજ સુરક્ષા, પોલીસ અને જાહેર અધિકારીઓને તપાસ હાથ ધરવા તાત્કાલિક સૂચનાઓ જારી કરી હતી.


