થરાદ
થરાદમાં રાતે શેરીમાં રમતા બાળકોને કહેવા જતાં અદાવત રાખી ત્રણ વાહનો ભરાઈને પરત આવેલા ૧૨ જેટલા અસામાજીક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે જૈનપરિવારના ૧૦ બાળકો,મહિલાઓ સહિત તમામ પર તુટી પડ્યા હતા. અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે નગરમાં ભારે અફારતફરી સાથે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પોલીસે બે નામજાેગ સહિત બાર જેટલી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. સુરત રહેતો જૈનપરિવાર દિવાળીના તહેવારોમાં થરાદમાં જુના ગંજબજારમાંના તેમના રહેણાંક આગળ શેરીમાં પડોશીઓ સાથે રાત્રિએ વાતો કરતો હતો. ત્યારે નંબર વગરની કાળા કલરની આઇ ટવેન્ટી કારના ચાલકે શેરીમાં રમતાં બાળકોને સાઇડમાં રમવાનું કહીને અપશબ્દ બોલતાં સમજાવીને રવાના કર્યો હતો. દરમિયાન રાત્રિના જ કાર અને એક એક્ટીવા અને મોટરસાયકલ પર બેસીને ૧૦થી ૧૨ શખ્સો હાથમાં ધોકા,લાકડી તેમજ પાઇપ સાથે આવી અપશબ્દો બોલી જૈન પરિવાર પર આડેધડ હુમલો કર્યો હતો. હોબાળો થતાં આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ છોડાવતાં એક્ટીવા મુકી કારમાં બેસીને બધા શખ્સો ભાગી છુટ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને ૧૦૮માં સારવાર અર્થે થરાદની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.શખ્સોએ વિજયભાઇ દોશીના એક્ટીવા અને પાટલા પર પણ હથિયારો મારીને તોડફોડ કરી હતી. પરિવારના સવિતાબેન હીરાલાલ વોહેરાની ફરિયાદના આધારે થરાદ પોલીસે ચમનલાલ વજીર તથા સાગરભાઈ મહારાજ (બંને રહે.થરાદ)ના નામજાેગ તથા અન્ય મળીને બાર જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસે શખ્સોનું એક્ટીવા કબજે લીધું હતું.


