આજવા
આજવા રોડ એકતાનગરમાં શુક્રવારની રાત્રે કોમી છમકલું થતાં અફરાતફરી મચી હતી. ચંપલ ફેંકવાની બાબતે તકરાર થતાં મામલો બીચક્યો હતો, જેમાં એકનું માથું ફૂટ્યું હતું. બાપોદ પોલીસે હુલ્લડનો ગુનો નોંધી ૪ હુમલાખોરોની ધરપકડ કરી હતી. બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અજય શંકરભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે ભંગાર વિણવાની મજૂરી કરે છે. તે એકતાનગર ભાથુજી મંદિર પાસે ગણપતિના પંડાલની પાસે ઊભો હતો. દરમિયાન રાત્રીના દસેક વાગે પંડાલની નજીકમાં એકતાનગર નવી મસ્જિદની સામે રહેતા તોસીબ મોહમદ તથા અલી એકબીજા પર ચંપલ ફેંકી મજાક-મસ્તી કરતા હતા. દરમિયાન તોસીબે અલી પર ચંપલ ફેંકતાં તે અજયને વાગ્યું હતું. જેથી તેણે દૂર જાવ, તેમ કહેતાં તોસીબે અને અલીએ અજયને લાફો મારી તેને નીચે પાડી દીધો હતો. જે બાદ તોસીબે ટાઇલ્સનો ટુકડો લઇ અજયના માથામાં પાછળના ભાગે અને અલીએ તેના માથાના ભાગે પાવડાનો હાથો મારી દીધો હતો. તે વેળા એઝાઝે આવી અજયને કમરના ભાગે મુક્કા માર્યા હતા અને આ વખતે બીજા ૪-૫ વ્યક્તિ ધસી આવીને અજયને ગડદા-પાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે અજયના મામા જયેશ રતીલાલ સોલંકી આવી જતાં અજયને છોડાવ્યો હતો અને હુમલાખોરોએ તમારા મકાન ખાલી કરાવી દઇશું તેવી ધમકી આપી હતી. અજયને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઇ જવાયો હતો. બાપોદ પોલીસે ૩૦૭, ૨૯૪ (ખ), ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા એટ્રોસિટી એક્ટ કલમ ૩(૫)(૨), ૩(એ-૫)(૨), ૩આર(૧),૩ મુજબ ૧૩૫ એક્ટ પી તથા જી (એસ) ગુનો નોંધી બાદલ શાહ, ઇકર્મા ઉર્ફે અલી ઇમરાન, સોહિલ ઉર્ફે બટકા ઉર્ફે બમ અને એજાજ ફિરોજ શાહની ધરપકડ કરી હતી.

