નવીદિલ્હી
વિન્ડીઝ પ્રવાસ પર જીત સાથે શરૂઆત કરીને ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે વિનિંગ કોમ્બિનેશન સાથે જશે? દરેકના મનમાં આ પ્રશ્ન છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટ મેચમાં વિન્ડીઝને એક ઈનિંગ અને ૧૪૧ રનથી કચડી નાખ્યા બાદ આ સવાલનો જવાબ આપ્યો છે. વાસ્તવમાં, રોહિતે ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારના સંકેત આપ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ૨૦ જુલાઈથી રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સીરીઝમાં યજમાનને ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. નબળી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ એવા અન્ય ખેલાડીઓને તક આપવા માંગે છે જેમણે બહુ ઓછી ટેસ્ટ રમી હોય અથવા જેઓ ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલની જેમ આ પ્રવાસમાં ડેબ્યૂ કરી શકે. રોહિતે કહ્યું, ‘સૌથી મહત્વની બાબત એ છે કે સારી શરૂઆત કરવી. હવે અમે બીજી ટેસ્ટમાં પણ આ ગતિ સાથે આગળ વધવા માંગીએ છીએ. કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે વધુ ટેસ્ટ રમી નથી, તેથી હવે તેમને મેદાનમાં ઉતારવાના બાકી છે. ભારતીય ટેસ્ટ ટીમમાં શ્રીકર ભરત, ઋતુરાજ ગાયકવાડ, અક્ષર પટેલ, મુકેશ કુમાર અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળી ન હતી. આગામી વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટ પેસર મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓને વર્કલોડ હેઠળ બીજી ટેસ્ટમાં આરામ આપી શકે છે. સિરાજની જગ્યાએ મુકેશ કુમાર અથવા નવદીપ સૈનીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જ્યારે જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને તક મળી શકે છે. ભારતીય બેટિંગ ક્રમમાં કોઈ ફેરફારની શક્યતા નથી.


