કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૨૩ ના આયોજન અંગે કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા બેઠકમાં તા. ૧૨ થી ૧૪ જુન દરમિયાન યોજાનારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે કલેકટર શ્રી એ માર્ગદર્શન આપ્યું હતું.કલેક્ટરશ્રી આ આ મહોત્સવ – પ્રવેશોત્સવમાં સહભાગી બનનાર પદાધિકારીઓ અધિકારીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા તેમજ શાળામાં સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા, ખૂટતી બાબતોનું ધ્યાન દોરવા જણાવ્યું હતું.
કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, કન્યાઓનું શાળાઓમાં સો ટકા નામાંકન થાય શાળામાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે
જે અન્વયે વર્ષે રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૧૨ થી ૧૪ જુન દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જૂનાગઢ જિલ્લામાં તારીખ ૧/૬/૨૦૨૩ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલ તેવા બાલવાટિકામાં પ્રવેશપાત્ર કુમાર ૪૮૦૩, કન્યા ૪૬૬૮ એમ મળી કુલ ૯૪૭૧ અને તારીખ ૧/૬/૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા પ્રવેશપાત્ર બાળકોમાં કુમાર ૨૮૭, ક્ન્યા – ૨૫૭ મળીને કુલ ૫૪૪ બાળકોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી તન્ના, ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વી.ડી.ઘુંચલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક પૂર્વે રાજયકક્ષા એ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બ્રીફીંગ વીડીયો કોન્ફરન્સમાં પદાધિકારીઓ, કલેકટર શ્રી,અધિકારીઓ જોડાયા હતા.
