જૂનાગઢના મીરાનગરમાં રહેતા ભરમીબેન જેશાભાઇ પરમાર પોતાના પૌત્ર સાથે અંગત કારણસર મધુરમ વિસ્તાર જવા ઓટો રીક્ષામાં બેઠા હતા. સરદાર બાગથી બીજી ઓટો રીક્ષા બદલવા દરમિયાન તેમની સાથે રાખેલ ૨ થેલી પૈકી ૧ થેલી ઓટો રીક્ષામાં જ ભુલી ગયા હતા. થોડા સમય બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે રાખેલી ૧ થેલી કે, જેમાં ૩૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા એમ કુલ રૂ. ૨,૦૦,૦૦૦ના મૂલ્યની થેલી ઓટો રીક્ષામાં જ ભુલી ગયા છે. તેઓ તાત્કાલીક બીજી ઓટો રીક્ષામાં બેસી જે ઓટો રીક્ષામાં થેલી ભુલાયેલ તેની પાછળ શોધવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભુલાયેલ થેલી વાળી ઓટો રીક્ષા મળેલ નહી. ૩૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સહીતની થેલી ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય તેથી તેઓ વ્યથિત થઈ ગયા હતા. આ બાબતની જાણ જિલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને માત્ર ચાર જ કલાકમાં રીક્ષા ચાલકને શોધી થેલી પરત અપાવી હતી.
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ શેટ્ટીની સૂચના મુજબ જૂનાગઢના ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના(કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ.ચેતન સોલંકી, કુસુમબેન મેવાડા, એન્જીનીયર રેયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ભર્મીબેન પરમાર જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર શોધી કાઢ્યા હતા અને તે આધારે ઓટો રીક્ષાના માલીકને શોધી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરી હતી. ઓટો રીક્ષા ચાલક પણ પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર થેલી ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ આ થેલી કોની છે? અને તેમાં શુ છે? તે પણ તેમને ખ્યાલ ન હતો, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૪ કલાકમાં ૩૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથેની કુલ રૂ. ૨,૦૦,૦૦૦ની કીંમતની થેલી શોધી અને ભરમીબેન જેશાભાઇ પરમારને પરત અપાવતા નેત્રમ શાખા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


