Gujarat

બધા પોતાની જવાબદારી સમજી અને જીવનમાં આવતા સારા નરસા પ્રસંગે વૃક્ષો રોપે તો ધરતીની આખી સકલ જ બદલાઈ જાય – વિઠ્ઠલભાઈ મુંગરા

“સંતાનોના જન્મદિવસે એક વૃક્ષ વાવો અરે પરિવારમાં કોઈનું મરણ થાય તો એની યાદમાં પણ એક વૃક્ષ
વાવો” પર્યાવરણ જતનનો આવો અનોખો કીમીયો આપતા જામનગરના વિઠ્ઠલભાઈ મુંગરા જણાવે છે કે પર્યાવરણનું ધ્યાન તો
રાખવું પડશે, નહિતર આવનારી પેઢી નુ શું થશે? બધા પોતાની જવાબદારી સમજી અને જીવનમાં આવતા સારા નરસા પ્રસંગે
વૃક્ષો રોપે તો ધરતીની આખી સકલ જ બદલાઈ જાય.
વાત છે જામનગરના ૫૫ વર્ષીય એક એવા પર્યાવરણ પ્રહરીની કે જેઓ સવાર થતાની સાથે જ પોતાના ઘરથી આશરે ૧૪ કિ.મી.
દૂર આવેલ બે ભાઈના ડુંગરે પહોંચી સમી સાંજ સુધી વૃક્ષોનું જતન, સેવા અને ચાકરી કરી આવનારી પેઢીની ચિંતા અને તેના
ઉજ્જવળ ભવિષ્ય માટે પાણી પહેલા પાળ બાંધવાની કામગીરી કરતા વિઠ્ઠલભાઈની.
જામનગરની ભાગોળે ઠેબા ગામ પાસે બે ભાઈના ડુંગર નામની જગ્યા આવેલી છે એ ડુંગર આસપાસની આશરે બે કિ.મી.ની
ત્રિજ્યામાં વિઠ્ઠલભાઈએ સઘન વૃક્ષારોપણ અને તેના જતનનો જાણે યજ્ઞ આદર્યો છે. આ સ્થળે વિઠ્ઠલભાઈએ ૫૦-૧૦૦ નહીં
પણ ૧૬ હજાર વૃક્ષોનું જતન અને માવજત કરી તેને પોતાના સંતાનની જેમ ઉછેર્યા છે. પરિણામ સ્વરૂપ આજે અહીં હર્યું ભર્યું
વન જોવા મળે છે અને બે ભાઈનો ડુંગર જામનગરના લોકોનું મનપસંદ પર્યટન સ્થળ બન્યો છે.
વિઠ્ઠલભાઈ જણાવે છે કે અલ્સરની બીમારીનો હું ભોગ બન્યો અને મોતના મુખમાંથી આ કુદરતે જ મને ઉગાર્યો. બસ ત્યારથી
તમામ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ હું આ વૃક્ષ દેવતાની સેવામાં જોડાયો છું. શરૂઆતમાં જામનગરના કોર્પોરેટરે મને ૨૦૦ વૃક્ષના
પાંજરા આપ્યા અને મેં વૃક્ષોના જતનનો યજ્ઞ આદર્યો આજે સરકારના વન વિભાગ અને અન્ય સંસ્થાઓનો પણ એટલો જ
સહયોગ મળે છે જેના થકી વધુમાં વધુ વૃક્ષો વાવવાની મદદ અને પ્રેરણા મળે છે.
વિઠ્ઠલભાઈ વધુમાં ઉમેરે છે કે ડુંગર વિસ્તારની પથરાળ જમીનમાં વૃક્ષારોપણ કરવું તે એક મોટો પડકાર હતો. આ માટે અહીં
33 વખત બોર કરવામાં આવ્યા જેમાં 30 બોર ફેલ ગયા અને માત્ર ત્રણ બોરમાંથી પાણી મળ્યું. પાણીની અછત વચ્ચે અમે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા લગાવી વૃક્ષોનું જતન શરૂ કર્યું

અને એક પણ વૃક્ષને મુરજાવા દીધું નહીં. પરિણામ સ્વરૂપ આજે અહીં પીપળો, કરંજ, લીમડો, દાડમ, આંબલી, જામફળ,
સીતાફળ, બોરસલી સહિતના હજારો વૃક્ષો લહેરાય છે.
વિઠ્ઠલભાઈની આ સેવાકીય પ્રવૃતિની રાજ્ય સરકારના વન વિભાગ સહિત અનેક સંસ્થાઓએ નોંધ લીધી અને તેઓને
સન્માનિત કર્યા. આજે આ ડુંગરની આસપાસ લીલીછમ વૃક્ષોની ચાદર જોવા મળે છે અને સમગ્ર સ્થળ રમણીય લાગે છે. રજાના
દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં જામનગર સહિત આસપાસના વિસ્તારોના પ્રવાસીઓ અહીં ફરવા આવે છે અને વિઠ્ઠલભાઈએ
જતનથી ઉછેરેલા વૃક્ષોની હરિયાળી વચ્ચે ઉજાણી કરે છે.
યોગાનુયોગ વિઠલભાઈનો જન્મદિવસ પણ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પાંચમી જૂનના રોજ આવે છે અને તેઓએ પોતાના
જન્મદિવસે સઘન વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

 

-9.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *