ભગવાન મહાદેવજી કહે છે કે પાર્વતી..હવે હું તમોને શ્રીમદ ભગવદ ગીતાના સોળમા અધ્યાયનું માહાત્મય બતાવીશ.સૌરાષ્ટમાં ખડગબાહું નામના રાજા રાજ્ય કરતા હતા,જે ઇન્દ્ર સમાન પ્રતાપી હતા.રાજા પાસે એક હાથી હતો જેનું નામ અરિમર્દન હતું.જે હંમેશાં મદથી ઉન્મત્ત રહેતો હતો.
એક દિવસ રાત્રીના સમયે આ હાથી લોખંડની સાંકળોથી થાંભલા સાથે બાંધેલ હતો તેને તોડીને બહાર નીકળી જાય છે.મહાવત તેને અંકુશ લઇને ડરાવી રહ્યો હતો પરંતુ ક્રોધવશ તમામની અવહેલના કરીને તેના રહેવાના સ્થાન હથિસારને પણ પાડી નાખે છે જેથી મહાવત અને સિપાઇઓ ભાલાઓથી મારીને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે છતાં હાથીને કોઇનો ભય લાગતો નથી.
આ કૌતૂહલપૂર્ણ ઘટનાને જાણીને રાજા પોતે હાથીને મનાવવા માટે હાથીને મનાવવાની કળામાં નિપૂણ રાજકુમારોને લઇને આવે છે.રાજા આવીને આ બળવાન હાથીને જુવે છે,નગરજનો પોતાનો કામધંધો છોડીને પોતાના બાળકો બચાવવાનો પ્રયત્ન કરે છે,તે સમયે એક બ્રાહ્મણ તળાવમાં સ્નાન કરીને આ રસ્તે આવી રહ્યા હતા.બ્રાહ્મણ તે સમયે શ્રીમદ ભગવદ ગીતાના સોળમા અધ્યાયના શ્ર્લોકોનો જપ કરી રહ્યા હતા.
નગરજનો અને મહાવતે હાથીની સામે ના જવા અનેક વિનંતીઓ કરવા છતાં બ્રાહ્મણે કોઇની વાત ના માની કેમકે તેમને હાથીનો કોઇ ભય નહોતો.બીજી બાજુ હાથીએ મનોન્મત્ત થઇને અનેક લોકોને હાની પહોંચાડી હતી.હાથી સામે આવતાં જ બ્રાહ્મણે હાથીના ઝરતા મદને હાથ અડકાડીને નિર્ભયતાથી નીકળી જાય છે.આ જોઇને નગરજનો અને રાજાને ઘણી જ નવાઇ લાગે છે.
રાજાએ નવાઇ સાથે પુછ્યું કે બ્રાહ્મણ દેવતા ! આપે આ મહાન અલૌકિક કામ કર્યું છે.આ કાળ સમાન ભયંકર ગજરાજની સામેથી આપ સકુશળ પસાર થયા છો.આપ કયા દેવતાનું પૂજન અને કયા મંત્રનો જપ કરો છો? આપે કંઇ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? બ્રાહ્મણ કહે છે કે હે રાજન ! હું દરરોજ શ્રીમદ ભગવદ ગીતાના સોળમા અધ્યાયનો જપ પાઠ કરૂં છું જેના લીધે મને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થઇ છે.
ભગવાન શિવ કહે છે કે તે સમયે હાથીનું કૌતૂહલ જોવાની ઇચ્છા છોડીને રાજા બ્રાહ્મણને સાથે લઇને પોતાના મહેલમાં આવે છે.શુભ મુહુર્ત જોઇને એક લાખ સોનામહોરો આપી બાહ્મણ દેવતાને સંતુષ્ટ કરે છે અને તેમની પાસેથી ગીતા-મંત્રની દિક્ષા લે છે.ગીતાના સોળમા અધ્યાયનો પાઠ કર્યા પછી રાજાના મનમાં હાથીને જોવાની ઇચ્છા થાય છે.
એક દિવસ રાજાએ મદોન્મત્ત હાથીના બંધનો છોડી નાખવા મહાવતને આદેશ આપે છે અને નિર્ભય થઇને હાથીની સામે જાય છે.હાથીની નજીક જઇને મદની અનવરત ધારા વહાવતા હાથીના ગંડસ્થળનો રાજા સ્પર્શ કરે છે.જેમ કાળના મુખમાંથી ધાર્મિક પુરૂષો નીકળી જાય છે તેમ રાજા પણ ગજરાજની સામેથી તેનો સ્પર્શ કરીને પસાર થઇ જાય છે તેમછતાં હાથી રાજાને કોઇ નુકશાન પહોંચાડતો નથી.રાજા પોતાના લાયક પૂત્રને ગાદી ઉપર બેસાડીને પોતે ગીતાના સોળમા અધ્યાયનો નિયમિત પાઠ કરીને મૃત્યુ પછી પરમ ગતિને પ્રાપ્ત કરે છે.
શ્રીમદ ભગવદ ગીતાના સોળમા અધ્યાયનો સાર એ છે કે દુર્ગુણ-દુરાચારોથી મનુષ્ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે,એટલે જન્મ-મરણના ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.
ગીતામાં મનુષ્યને આત્મકલ્યાણ માટે દૈવી સંપત્તિ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે તેથી પોતાનું કલ્યાણ ઇચ્છનારે દૈવી સંપત્તિના છવ્વીસ સદગુણો-સદાચારોને જીવનમાં કર્મરૂપમાં લાવવા જોઇએ. ગીતાના સોળમા અધ્યાયમાં ભાવ-આચરણ અને પ્રભાવને લઇને દૈવી સંપત્તિના સદગુણ-સદાચારોના સારરૂપે નીચે મુજબના છવ્વીસ લક્ષણો બતાવ્યા છે.
ભયનો સર્વથા અભાવ,અંતઃકરણની સંપૂર્ણ નિર્મળતા,તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે ધ્યાનયોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ,સાત્વિક દાન,ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી,ભગવાન-દેવતા અને વડીલોની પૂજા તથા અગ્નિહોત્ર વગેરે ઉત્તમ કર્મોનું આચરણ,સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું અધ્યયન-વાંચન તથા ભગવાનના નામનું અને ગુણોનું કિર્તન,સ્વધર્મના પાલન માટે દુઃખ સહન કરવું,શરીર-મન અને વાણીની સરળતા, સરળતા, અહિંસા એટલે મન-વાણી અને શરીરથી કોઇને કોઇપણ પ્રકારનું કષ્ટ ના આપવું,પ્રિય અને સત્ય વાણી,પોતાનો અપકાર કરનાર પ્રત્યે પણ ક્રોધ ના કરવો,સંસારની કામનાઓનો ત્યાગ એટલે કે કર્મોમાં સ્વાર્થનો અને કર્તાપણાના અભિમાનનો અભાવ,અંતઃકરણમાં રાગ-દ્રેષના કારણે ખળભળાટ ન થવો, ચાડી-ચુગલી અને કોઇની પણ નિંદા ન કરવી,તમામ જીવો-પ્રાણીઓ પ્રત્યે નિર્હેતુક દયા,સંસારીક વિષયોમાં લલચાવું નહી,મૃદુ સ્વભાવ હોવો,લોકવિરૂદ્ધ અને શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરવામાં લજ્જાભાવ,ચપળતાનો અભાવ, તેજ,ક્ષમા,ધેર્ય,બહાર-ભીતરની શુદ્ધિ,કોઇના પણ પ્રત્યે શત્રુભાવ ન હોવો અને માનની અપેક્ષા ના રાખવી-પોતાનામાં પૂજ્યપણાનો અભાવ..આ બધા દૈવી સંપત્તિને લઇને ઉત્પન્ન થયેલા માણસોના લક્ષણો છે.
આ બધા જ દૈવીસંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોનાં લક્ષણો છે.પરમાત્માપ્રાપ્તિનો ઉદ્દેશ્ય થતાં આ દૈવી સંપત્તિનાં લક્ષણો સાધકમાં સ્વાભાવિક જ આવવા લાગે છે.કેટલાક લક્ષણો પૂર્વ જન્મોના સંસ્કારોથી પણ જાગ્રત થતા હોય છે.સાધકે દૈવી સંપત્તિના ગુણોને પોતાના માનવા ના જોઇએ કારણ કે આ દેવ-પરમાત્માની સંપત્તિ છે વ્યક્તિગત પોતાની કોઇની સંપત્તિ નથી અને વ્યક્તિગત માનવાથી જ અભિમાન આવે છે.આ અભિમાન આસુરી સંપત્તિનું મુખ્ય લક્ષણ છે,અભિમાનની છાયામાં જ આસુરી સંપત્તિના બધા જ અવગુણો રહે છે.
ત્યારબાદ ભગવાન કહે છે કે દંભ કરવો, ઘમંડ કરવો, અમિમાન કરવું, ક્રોધ કરવો, કઠોરતા રાખવી અને અવિવેક હોવો એ આસુરી સંપત્તિના લક્ષણો છે.દૈવી સંપત્તિ મુક્તિ માટે અને આસુરી સંપત્તિ બંધન કરનારી છે.
આજીવન રહેનારી અપાર ચિંતાઓનો આશરો લેનારા,પદાર્થોનો સંગ્રહ અને તેનો ભોગ કરવામાં જ લાગ્યા રહેનારા, આશાના હજારો ફંદાઓથી બંધાયેલા મનુષ્યો કામ-ક્રોધને પરાયણ થઇને પદાર્થો ભોગવવા માટે અન્યાયપૂર્વક ધન સંચય કરવાની ચેષ્ટા કર્યા કરે છે.અહંકાર હઠ ઘમંડ કામના અને ક્રોધનો આશ્રય લેવાવાળા પોતાના અને બીજાના શરીરમાં રહેલા અંતર્યામી પ્રભુનો દ્વેષ કરે છે, આવા દ્વેષ કરનારા ક્રૂર સ્વભાવવાળા નરાધમો પાપાચારીઓ સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જન્મ લે છે.
કામ-ક્રોધ અને લોભ આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર જીવાત્માનું પતન કરનારાં છે.કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે.દૈવી સંપત્તિ કલ્યાણ કરનારી અને આસુરી સંપત્તિ બાંધવાવાળી તથા નીચ યોનિઓ અને નરકોમાં લઇ જવાવાળી છે.આસુરી સંપત્તિનો ત્યાગ થતાં જ દૈવી સંપત્તિ આપોઆપ પ્રગટ થઇ જાય છે અને દૈવી સંપત્તિ પ્રગટ થતાં જ એકમાત્ર પરમાત્મા સાથે સબંધ રહી જાય છે..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


