મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા કઠલાલ તાલુકાના અનારા ગામ ખાતે આયોજીત સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિર અંતર્ગત વિદ્યાનગર ખાતેના નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સર્પદંશ અંગેની જાગૃતિનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સર્પદંશ પરત્વે વ્યાપ્ત અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ સાપના ડંખ વખતે કેવા પ્રકારના પગલા લેવા તે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ જનોને સમજાવવામાં આવ્યું હતું. સાયબર સેલ નડિયાદના ASI શ્રી કુલદીપ બારોટ દ્વારા સાયબર ક્રાઇમ અંગે તેમજ વર્ચ્યુઅલ દુનિયામાં કેવીરીતે પોતાના એકાઉન્ટ સેફ રાખવા અને આ પ્રકારના ગુના પરત્વેના નિવારાત્મક પગલા અંગે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન બેંકની કઠલાલ શાખાના આસિસ્ટન્ટ મેનેજર શ્રી રાજ કીશોરજી દ્વારા Self Help Group થકી કેવી રીતે મહિલાઓ લોન મેળવીને આત્મનિર્ભર બની શકે તે બાબતે ગામની મહિલાઓને પરિચિત કરી હતી. વધુમા, રાત્રી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ટેલિસ્કોપ થકી આકાશ દર્શન કરીને ચંદ્ર, સપ્તર્ષિ તારા મંડળનું નિદર્શન તેમજ અન્ય તારાજુથોનું નિદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રી પ્રા. પરેશ પટેલ દ્વારા કરાયું હતું.


