ભાવનગર
ભાવનગર તોડકાંડમાં જેનુ નામ ખૂલ્યુ છે એ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં યુવરાજ સિંહે મોટુ નિવેદન આપ્યુ. યુવરાજે જણાવ્યુ કે હું બહાર આવીશ પછી ઘણા બધા ખૂલાસા થશે. સત્ય પરેશાન થઈ શકે છે પરાજીત નહીં. વધુમાં યુવરાજસિંહે જણાવ્યુ કે તોડકાંડમાં રૂપિયાની લેતી-દેતી મામલે મારે કોઈ લેવાદેવા નથી. આપને જણાવી દઈએ કે ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે કેટલાક આરોપીઓના નામ જાહેર ન કરવાની શર્ત સાથે યુવરાજ સિંહ સહિત તેમના કેટલાક માણસોએ તોડ કર્યો હોવાનો આરોપ છે. આ ડમીકાંડમાં યુવરાજસિંહ પર ૧ કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. આ અંગેના કેટલાક પુરાવા પણ પોલીસે રજૂ કર્યા છે. જે મામલે યુવરાજસિંહ સહિત તેમના સાથીદારો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ વિરુદ્ધ ખંડણી ઉઘરાવવી અને ગુનાહિત કાવતરૂ રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ સહિત તેમના સગાસંબંધીઓ અને સાથીદારો સામે પણ ગુનો નોંધ્યો છે.


