જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા.૦૯. ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિશ્રી ડો. વિ. પી. ચોવટિયા સાહેબની અધ્યક્ષતામાં ૧૯મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રનાં વડા ડૉ. કે. પી. બારૈયા દ્વારા જામનગર અને દેવભૂમિ-દ્વારકા જીલ્લામાં ગત વર્ષ દરમિયાન થયેલ કામગીરી તથા ચાલું વર્ષ દરમિયાન કરવાની થતી કૃષિ લક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવેલ. ત્યારબાદ વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ વિષય પર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતીમાં આધુનીકરણ અને ખેતીખર્ચ ઘટાડો તેમજ પ્રાકૃતિક ખેતી વગેરે જેવાં મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો હતો.
સાથે જ નવસારી કૃષિ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિશ્રીના મુખ્ય મહેમાન સહ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ ઉજવવાનું નક્કી કરેલ છે અને તે અંગે ભારત તેમની આગેવાની કરતુ હોવાથી આ પ્રસંગને અનુરૂપ ઉદઘાટન કાર્યક્રમમાં મિલેટ પર સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા મિલેટનાં ઉપયોગ, વાવેતર પદ્ધતિ અને તેમનું મૂલ્યવર્ધન વિષે ચર્ચાઓ પણ કરવામાં આવેલ. આ અંગે બાજરા સંશોધન કેન્દ્ર, તેમજ જામનગર જીલ્લામાં તૃણ ધાન્યો વાવેતર કરતા ખેડૂતો દ્વારા મિલેટ પ્રદર્શન સ્ટોલ રાખીને પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ મિટિંગમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. એમ. ગજીપરા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી, સહ સંશોધન નિયામકશ્રી ડો. આર. બી. માદરીયા અને ડો. ડી. એસ. હીરપરા, બાજરા સંશોધન વૈજ્ઞાનિક, જીલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ ખેતીનીયામક વિસ્તરણ, નાયબ ખેતીનીયામક તાલીમ, તેમજ જીલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.


