‘સમાજના નિરાધાર ઉપેક્ષિત વર્ગોના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ’ઃ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યમંત્રીશ્રી ભિખુસિંહ પરમારના હસ્તે લાભાર્થીઓને યોજનાકિય લાભ આપવામાં આવ્યા..
ગાંધીનગર,
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક,સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગર અમલીકૃત પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી અનાથ દીકરીઓને લગ્ન સમયે બે લાખ રૂપિયાની સહાય યોજના અંતર્ગત સહાય વિતરણ તથા નવનિર્મિત ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર સુરતનું ઈ- લોકાર્પણ અને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની વેબસાઈટ લોન્ચિંગનો ત્રિવિધ કાર્યક્રમ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોબા ગાંધીનગર ખાતે યોજાયો.
આ પ્રસંગે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યુ હતુ કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ મુખ્યત્વે અનાથ નિરાધાર ઉપેક્ષિત,ત્યજેલા બાળકો દિવ્યાંગ વ્યક્તિઓ નિરાધાર વૃધ્ધો અને ભિક્ષુકો જેવા સમાજના નબળા વર્ગોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. રાજ્ય સરકાર તેઓના રક્ષણ, આશ્રય, શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમ જેવી સગવડો આપી સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવામાં સહાય કરવાનો મુખ્ય હેતુ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આજના આ કાર્યક્રમ અંતર્ગત તેવી બાળકીઓ જેણે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે, જેમને કુટુંબીજનોએ છત્રછાયા આપી તેમનો ઉછેર કર્યો છે તે તમામ પાલક માતા પિતા ભગવાનનું સ્વરૂપ છે, બાળકોના ઉછેરમાં માતા-પિતાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાત સરકાર દ્વારા બાળકોની સારસંભાળ અને ઉછેર માટે સદા પ્રતિબધ્ધ રહી બાળકોને દેશનું ભવિષ્ય અને શક્તિ ગણી દેશની સુરક્ષા પ્રગતિ અને વિકાસની આવનારી પેઢી માટે સામાજિક સુરક્ષાઓ ક્ષેત્રે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પાલક માતા પિતા યોજનાનો મૂળ હેતુ માબાપ વગરના અનાથ બાળકોને પાલક માતા પિતાની સાર સંભાળ મળે ,જેથી બાળકોનો સર્વાંગ વિકાસ અને ઘડતર થઈ શકે તેવો છે.આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા ૩,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત પાલક માતા પિતા યોજના ઉપરાંત મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીએ અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યારે તેના લગ્ન સમયે રૂપિયા બે લાખની સહાય આપવાની યોજનાથી દીકરીઓના વાલીને તેના લગ્ન સમયે થતા ખર્ચને પહોંચી વળવા મદદ થશે. તેમજ લાભાર્થીઓને આ રકમ પોતાના જીવનની નવી શરૂઆત કરવામાં મદદરૂપ થઈ શકશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.આ યોજના અંતર્ગત મંત્રીશ્રીના હસ્તે ૮૨ લાભાર્થી દીકરીઓને તેમના ખાતામાં રૂપિયા બે લાખની સહાય એટલેકે કુલ ૦૧ કરોડ ૬૪ લાખની સહાય આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે પ્રાંસગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે ભિક્ષુકોના કલ્યાણ અને રક્તપિત વાળી વ્યક્તિઓને સામાજિક સુરક્ષા અને આશ્રય માટે વિવિધ શહેરોમાં ભિક્ષુક પુનઃ વસન કેન્દ્રો શરૂ કરવાનો ર્નિણય કર્યો છે, જે અંતર્ગત સુરતમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્રનું ઈ- લોકાર્પણ પણ કરવામાં આવ્યુ હતું. જેમાં જાહેર સ્થળોએ ભિક્ષાવૃત્તિ કરતા લોકોને આ ભિક્ષુક પુનઃવસન કેન્દ્રમાં આશ્રય આપવામાં આવશે અને તેઓને કૌશલ્ય વર્ધન તાલીમ અને સ્વરોજગારની કિટ આપી આવા આશ્રિતોને સમાજના મુખ્ય પ્રવાહોમાં લાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી ગાંધીનગરની વેબસાઈટ ડેવલપ કરવા માં આવેલ છે. આ વેબસાઈટમાં નીતિ વિશે કાયદા અને નિયમો, પ્રકાશનો, સરકારી ઠરાવો, યોજના કે માહિતી સેવા વગેરે જાહેર જનતાને સરળતાથી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ વેબસાઈટ ઉપસ્થિત મંત્રીશ્રીના હસ્તે વિવિધ રીતે ખુલ્લી મુકવામાં આવી હતી.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર જિલ્લાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગર નિયામકશ્રી વિર્ક્મસિંહ જાદવ તથા વિવિધ જિલ્લામાથી આવેલા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

