Gujarat

સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે દેશી ગોળનું ઉત્પાદન કરતાં ધરતીપુત્ર જયંતિભાઈ ચાંદગઢીયા એટલે ખરાં અર્થમાં એક મહેનતકશ ખેડૂતનો જીવ. 

આમ તો આપણી સંસ્કૃતિમાં ગોળ ધાણીનું અનેરું મહત્વ છે. કોઈ શુભ કાર્યમાં એનો અવશ્ય ઉપયોગ થતો હોય છે. હા આજે વાત કરવી છે શેરડીના સીંચોડામાંથી નીકળતા તાજાં માઝા શેરડીના રસમાંથી બનતાં સાકર સમાન મધુર અને મીઠાં ગોળની. હા, ગોળની પણ ખેતી થઈ શકે. આમ તો તુલસીવિવાહ સમયે આપણે શેરડીનો સાંઠો જ પ્રભુ પ્રસાદે અર્પણ કરીએ છીએ. આમ તો જેનો આપણાં દેશમાં બહોળો ઉપયોગ થાય છે તે ખાંડ (શર્કરા) પણ આ શેરડીના રસમાંથી જ બને છે.  ખાંડ ઉત્પાદનમાં બ્રાઝીલ પછી ભારત અગ્રેસર છે. પરંતુ શેરડીમાંથી બનતો ગોળ શરીર માટે અતિ ગુણકારી છે.
ઘણાં આયુર્વેદ ઔષધો સાથે તેનું સેવન કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતના ઉતર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શેરડીનો પાક ખાસ્સો તૈયાર થાય છે. સૌરાષ્ટ્રમાં કોડીનાર પંથક, તાલાલા જુનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ ખેડૂતો આ પાક લે છે. અહીં સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાં પણ તેનું વાવેતર થાય છે.. પરંતુ મોટેભાગે શેરડીને ખાંડના કારખાનામાંઓમાં રવાના કરવામાં આવે છે. ખૂબ જ જવલ્લે જ શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે. અહીં સાવરકુંડલા નજીક  શેલ નદીના કાંઠે આવેલ કરજાળા ગામ ખાતે જયંતિભાઈ ચાંદગઢિયા વરસોથી દેશી ગોળનું ઉત્પાદન કરે છે. આસપાસના અઢારેય વર્ણનાં લોકો તેનો ભરપૂર લાભ લે છે. પ્રસ્તુત તસવીરમાં આપણે તેમના ગોળ બનાવવાના કાર્યસ્થળની ઝાંખી તેમનાં જ ખેતરમાં જોવા મળે છે. જયંતીભાઈએ પત્રકાર બિપીનભાઈ પાંધી સાથે એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે મારો ગોળ સંપૂર્ણ દવા વગરનો અને દેશી શેરડીના રસમાંથી બવાવેલ હોય છે એક વખત જે પણ વ્યક્તિ અહીં મારો ગોળ ખાય એટલે કાયમી ગ્રાહક અને ચાહક થઈ જાય એ વાત પાકી. પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પોતાની અંગત દેખરેખ હેઠળ જ આ ગોળ તૈયાર થાય છે. અહીં પધારતાં તમામ લોકોને શેરડીનો રસ ખૂબ જ હેતથી પીવરાવામાં આવે છે.
પોતે ક્વોલિટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતાં.. એક વખત સાવરકુંડલા શહેરથી દસેક કિલોમીટર દૂર આ શેલ નદીના કાંઠે આવેલ જયંતીભાઈ ચાંદગઢીયાના ખેતરની મુલાકાત લેવા જેવી ખરી.. અને હા, જો કરજાળા જ જતાં હોઈએ તો અહીં શેલ કાંઠાવાળા હનુમાન મંદિરના દર્શન કરીને ધન્ય થવાય.. તેમનો દેશી ગોળ માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પણ સારી માંગ રહે છે.. બારેમાસ ખાવા લાયક આ ગોળ જાણે આયુર્વેદિક અમૃત જ સમજો.

20240119_164257.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *