ડભોઇના પાંચણીગર મહોલ્લામાં ગટરના પાણી છેલ્લા એક માસથી લીકેજ થાય છે જેના કારણે ગંદકી સાથે દુર્ગંધ મારે છે. આ પાણી મસ્જિદ સુધી પહોંચે છે તેને લઇને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગરમીને કારણે સમગ્ર વિસ્તારમાં વધુ દુર્ગંધ મારે છે.
વહેલી તકે નગરપાલિકા તંત્ર તેનો નિકાલ લાવે એવી વિસ્તારના રહીશોની માંગ છે. ડભોઇ શહેર પાંચણીગર મહોલ્લામાં ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે ગંદકી સાથે ઠેરઠેર કીચડ કાદવ થઇ જવાથી અને 40 ડિગ્રી ઉપરાંત ગરમીને લઈને દુર્ગંધ મારવાથી બીમારીઓ વધી રહી છે. જેના કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે.
વહેલી તકે નગરપાલિકા તંત્ર દ્વારા ગટરની સાફ-સફાઇ કરાવાય અને ગંદકી દૂર કરાવાય તેવી વિસ્તારના રહીશોની માંગ છે. ભારત સરકારની સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે.
છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ વિસ્તારના લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો જાગે ને એનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.