ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાના જન્મદિવસ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલે આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી,સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા.
તેઓએ વર્ષ-૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંત૨રાષ્ટ્રિય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ સંપૂર્ણપણે દેશ પ્રેમની ભાવના ધરાવતા અને વિલાયતી દવાઓ કરતા નેચરોપેથીમાં વિશ્વાસ કરતા હતા.
ગુજરાતના સુપુત્ર એવા સરદારસિંહ રાણાએ વિદેશમાં જઈ ક્રાંતિવીરોને દેશની આઝાદી માટે તૈયાર કર્યા હતા અને તેમને સંપૂર્ણ જીવન દેશ માટે અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજય સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

