સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર મહાકાળી ચોક પાસે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આજરોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેર તેમજ તાલુકામાં તમામ ગામના મંદિર, મઠ અને આશ્રમમાં સફાઈ ઝૂબેશ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર મહાકાળી ચોક પાસે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે શહેરના ધર્મપ્રેમી લોકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આ ઉતાવળા હનુમાન મંદિર ખાતે ચાલતાં છાશકેન્દ્રની પણ ધારાસભ્યે મુલાકાત લીધી હતી અને માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ટ્રસ્ટ મુંબઈ દ્વારા ચાલતી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે વિતરણ કરાતી છાશ વિતરણ વ્યવસ્થાની આ છાશ વિતરણ સેવાકીય પ્રવૃત્તિઓની ભારોભાર પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહૂલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, હેમાંગભાઈ ગઢીયા, જીવનભાઈ વેકરીયા, પ્રવિણભાઈ સાવજ, શરદભાઈ પંડ્યા, વિજયસિંહ વાઘેલા, કરશનભાઈ આલ, કેશવભાઈ બગડા, રાજુભાઈ નાગ્રેચા, લલિતભાઈ મારૂ, અનિરુદ્ધસિંહ રાઠોડ, કિશનભાઈ ત્રિવેદી, અષ્ટકાંતભાઈ સૂચક સમેત તમામની ઉપસ્થિત વચ્ચે સ્વચ્છતા અને સફાઈ અભિયાન વેગવંતુ બન્યું. આ તકે ધારાસભ્યશ્રીએ કાયમી ધોરણે સાફ સફાઈ રહે એવી પ્રેરણા પ્રાપ્ત થાય એવી અભિલાષા પણ વ્યક્ત કરી હતી.શ્રી ઉતાવળા હનુમાન મંદિર ખાતે દર મહિનાના ત્રીજા બુધવારે આર્યુવેદિક નિદાન સારવાર કેમ્પ યોજાય છે એ કેમ્પની પણ આ તકે ધારાસભ્યે મુલાકાત લીધી હતી.. આમ ઉતાવળા હનુમાન મંદિર ખાતે ચાલતી આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને પણ બિરદાવી હતી.. ધારાસભ્ય સાથે ઉપસ્થિત તમામ કાર્યકરો સફાઈ ઝૂંબેશમાં જોડાઈને પ્રભુ શ્રી રામજીના પરમ ભક્ત હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

