શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરથી 3 કીમી દૂર ગબ્બર પર્વત મા અંબાનું મૂળ સ્થાનક છે. ગબ્બર ખાતે હાલના ચઢવા અને ઉતરવાના પગથિયા નાના-મોટા અને અલગ અલગ સાઈઝના હોવાથી માઈ ભક્તોને ચઢવા અને ઉતરવામાં વધારે તકલીફ પડતી હતી.

વધુમાં અમુક પગથિયા તૂટી પણ ગયેલી હાલતમાં હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા ગબ્બરના પગથીયાના નવનીકરણ માટે પી આર એન્ડ પટેલ કંપનીને વર્ક ઓર્ડર આપ્યો છે. જેનું હાલમાં કામ પણ ચાલુ છે. ત્યારે આગામી સમયમાં ગબ્બર પર્વત ધાંગધ્રાના ટોન પથ્થરોથી અલગ ઓળખ ઊભી થશે અને માઈ ભક્તોને ચઢવા ઉતરવામાં સરળતા રહેશે.
તેના માટે પગથિયાનું નવનીકરણ અને સાઈડમાં રેપ પણ લગાડવામાં આવશે. પગથિયાની સાથે સાથે સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી, ટોયલેટ બ્લોક, પાણીની પરબો સહિત અનેક આકર્ષણ આગામી સમયમાં જોવા મળશે. માત્ર 21 મહિનાના સમયગાળામાં ગબ્બર ખાતે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે.