Gujarat

વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને રાષ્ટ્રપતિ મુર્મૂએ પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે, પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી મહાનુભવોને એવોર્ડ અર્પણ કર્યાં હતા. આ મહાનુભવોના સન્માન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત મંત્રીમંડળના ઘણા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને જાહેર કાર્ય માટે, અભિનેતા મિથુન ચક્રવર્તીને કલા માટે, ગાયિકા ઉષા ઉથુપ અને બિંદેશ્વર પાઠક (મરણોત્તર)ને સામાજિક કાર્ય માટે સન્માનિત કર્યા. બિંદેશ્વર પાઠકના પત્ની અમોલા પાઠકે એવોર્ડ મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ કલા ક્ષેત્રે ભજન ગાયક કાલુરામ બામણિયા, ચિકિત્સા ક્ષેત્રે કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી બાન્યા, કલા ક્ષેત્રે નસીમ બાનો, ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, દ્રોણા ભુયાને ચિકિત્સા ક્ષેત્રે સન્માનિત કર્યા હતા.

કલાના ક્ષેત્રમાં, ચિકિત્સા ક્ષેત્રે મનોહર કૃષ્ણ ડોલે અને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે રામ ચેત ચૌધરીને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મ કલાકાર મિથુન ચક્રવર્તીને કલા જગત ક્ષેત્રે કરેલ કામગીરીને લઈને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયાનાયડુને કરેલા લોકકાર્યો માટે પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની સાથે સાથે અન્ય મહાનુભાવોને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ એવોર્ડ અર્પણ કર્યા હતા.