ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બોર્ડે સોમવારે મોડી રાત્રે ઉમેદવારો માટેની જાહેરાત બહાર પાડી હતી. ઉમેદવારો 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકશે.
રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે.
નવા કોચનો કાર્યકાળ 2027 સુધી ચાલશે
નવા હેડ કોચની પસંદગી T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે. તેમનો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 ICC ટુર્નામેન્ટ રમવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2 સાઇકલનો સમાવેશ થાય છે.

આ ક્વોલિફિકેશન રાખવામાં આવી છે
મુખ્ય કોચના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ચોક્કસ ક્વોલિફિકેશન હોવું આવશ્યક છે, જેનો ઉલ્લેખ BCCIએ તેની જાહેરાતમાં કર્યો છે.
- 30 ટેસ્ટ અને 50 વન-ડે રમવાનો અનુભવ હોવો જોઈએ.
- ઓછામાં ઓછા 2 વર્ષ માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ પ્લેઇંગ ટીમનું કોચિંગ હોવું આવશ્યક છે.
- કોઈપણ સહયોગી દેશ, IPL ટીમ, ઈન્ટરનેશનલ લીગ, ફર્સ્ટ ક્લાસ ટીમ, નેશનલ A ટીમમાંથી 3 કે તેથી વધુ વર્ષ માટે કોચિંગ કર્યું હોવું જોઈએ.
- BCCI કોચિંગ લેવલ-3 પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
- ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
દ્રવિડ નવેમ્બર 2021માં હેડ કોચ બન્યા હતા
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ભારતના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમે 2022 T20 વર્લ્ડ કપમાં ફરીથી સેમિફાઈનલ રમી હતી. 2023માં ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાને કારણે તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો.
દ્રવિડની સાથે કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો હતો. જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનો સમાવેશ થાય છે. જય શાહે તાજેતરમાં કહ્યું હતું કે જો દ્રવિડ ઇચ્છે તો કોચ પદ માટે ફરી અરજી કરી શકે છે.
દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાને એકમાત્ર સફળતા 2023માં એશિયા કપના રૂપમાં મળી હતી. ભારતે યજમાન શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

