Gujarat

શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે દર્શન અને રોપ-વેની સુવિધા તારીખ ૧૪ ઓક્ટોબરના દિવસે સંપૂર્ણપણે બંધ

શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર

વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવતા કરોડો ભક્તો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે જેમાં, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષા અને પહાડની જાળવણીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.

ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે બંધ રાખવાનું મુખ્ય કારણ પથ્થર ચકાસણીની કામગીરી છે. તંત્ર દ્વારા પહાડના પથ્થરોની ગુણધર્મ ચકાસણી માટે ‘જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે‘ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સર્વે દ્વારા પહાડની સ્થિરતા અને મજબૂતીનું આકલન કરવામાં આવશે. યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આ વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવી જરૂરી હોવાથી એક દિવસ માટે ગબ્બર પરની તમામ ગતિવિધિઓ બંધ રાખવામાં આવી છે.

અંબાજી શક્તિપીઠ પર દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે ૧૪ ઑક્ટોબરના રોજ દર્શન બંધ રહેવાથી યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જ આ જાહેરાત કરવામાં આવી છે. મંદિર પ્રશાસન અને તંત્રએ યાત્રાળુઓને આ વિશેષ કામગીરીમાં સહકાર આપવા અને ૧૪ ઑક્ટોબરના રોજ ગબ્બર પર્વત પર દર્શન માટે નહીં આવવા વિનંતી કરી છે, જેથી સુરક્ષા સંબંધિત સર્વેની કામગીરી સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.