મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, કેસૂડો કામણગારો જી લોલ…કવિશ્રી સુંદરમે કેસુડાના કામણ ઉપર લખેલું આ કાવ્ય વસંતઋતુમાં હરકોઈના મનમાં ગુંજી ઉઠે છે. ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્?યાં છે.વનરાજી ફૂલોનો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળીના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કેસૂડાંએ રંગ જમાવવાની સાથે અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રક્રુતિનો નિખાર તરી આવે છે ત્યારે મનમોહક માધુર્ય રેલાય એ સ્વાભાવિક છે.
વાસ્તવમાં કેસૂડાંના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવાનો પણ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે, ફાગણ મહિનાના આગમન કેસૂડાના ફૂલ ખીલી ઉઠતા હોય છે, ઉનાળાનાં ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે.કેસૂડાંના ફૂલો સૂકવીને તેનો ભૂક્કો આખી રાત પાણીમાં પલાળીને સવારે ત્વચા પર લગાવવાથી બળબળતા તાપમાં પણ ત્વચાનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પહેલાના સમયે આ પ્રયોગ કરાતો,કેસૂડો ઉનાળા દરમિયાન ચામડીના રોગોને દુર રાખવામાં ઉપયોગી નીવડે છે.