International

ભારત-પાકિસ્તાન સહિત ૧૪ દેશોના વિઝા પર સાઉદી અરેબિયાએ મૂક્યો પ્રતિબંધ

સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત કૂલ ૧૪ દેશોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જાેર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત ૧૪ દેશોને લાગુ પડે છે.

યોગ્ય રજીસ્ટ્રેશન વગર હજ કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જાેકે, ઉમરાહ વિઝા ધરાવતા વ્યક્તિઓ હજુ પણ ૧૩ એપ્રિલ સુધી સાઉદી અરેબિયામાં પ્રવેશ કરી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે આ પ્રતિબંધ જરૂરી હતો કારણ કે ભૂતકાળમાં ઘણા વિદેશી નાગરિકો ઉમરાહ અથવા વિઝિટ વિઝા પર દેશમાં પ્રવેશ્યા હતા અને પછી સત્તાવાર પરવાનગી વગર હજમાં હાજરી આપવા માટે ગેરકાયદેસર રીતે વધુ સમય રોકાયા હતા, જેના કારણે ભીડ અને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૨૪માં હજ દરમિયાન આવી જ ઘટનામાં ઓછામાં ઓછા ૧,૨૦૦ યાત્રાળુઓના મોત થયા હતા.

રાજ્યમાં એક ક્વોટા સિસ્ટમ છે, જે યાત્રાળુઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે દરેક દેશને ચોક્કસ સંખ્યામાં હજ સ્લોટ ફાળવે છે. જે લોકો ગેરકાયદેસર રીતે હજમાં ભાગ લે છે તેઓ આ સિસ્ટમને બાયપાસ કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે અધિકારીઓએ અસરગ્રસ્ત મુસાફરોને નવા નિયમોનું પાલન કરવા કહ્યું છે, કારણ કે આદેશનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓને ભવિષ્યમાં પ્રવેશ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.

આ દરમિયાન રાજદ્વારી વિઝા, રહેઠાણ પરવાનગી અને હજ માટેના ખાસ વિઝા આ પગલાથી પ્રભાવિત રહેશે નહીં. હજ ૨૦૨૫ સીઝન ૪-૯ જૂન દરમિયાન યોજાવાનું છે. આ પગલા પાછળનું બીજું કારણ ગેરકાયદેસર રોજગાર હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વ્યવસાયિક અથવા કૌટુંબિક વિઝાનો ઉપયોગ કરતા વિદેશીઓ સાઉદી અરેબિયામાં અનધિકૃત કામમાં રોકાયેલા છે, વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે અને શ્રમ બજારમાં વિક્ષેપો પેદા કરે છે.