રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા બાખલવડના આલણ સાગર તળાવમાં રવિવારે નાહવા પડેલા 4 કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
રવિવારની રજા જીવલેણ સાબિત થઈ રવિવારની રજા હોવાથી 4 મિત્રો સાઈકલ લઈને તળાવમાં ન્હાવા ગયા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ચારેયના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે લાંબી શોધખોળ બાદ અંતે ચોથા બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તળાવના કિનારેથી મળી આવેલી સાયકલ અને કપડાં જોઈ પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
- રામુ ભાયા રાઠોડ (ઉંમર: 14 વર્ષ)
- કાળુ ભરત રાઠોડ (ઉંમર: 10 વર્ષ)
- રાજવીર સામત રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
- કિશન મનસુખ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)

