Gujarat

જામનગર ITRA અને હાર્ટફૂલનેસ વચ્ચે 5 વર્ષના MoU

આયુષ મંત્રાલય હેઠળ કામ કરતી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર અને હૈદરાબાદની હાર્ટફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટ (HFI) વચ્ચે પાંચ વર્ષ માટે સમજૂતી કરાર (MoU) થયા છે. આ કરાર કાન્હા શાંતિ વનમ ખાતે યોજાયેલી સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેટિવ મીટિંગમાં કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ, દાજી, નીતિ આયોગના સભ્ય ડૉ. શ્રી નિવાસ અને આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદ, સર્વગ્રાહી આરોગ્યસંભાળ અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે.

શિક્ષણ અને સંશોધનનું સંયુક્ત સંકલન

આ કરાર પર ITRAના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી અને HFI તરફથી કુમાર કન્નન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર અંતર્ગત ITRA આયુર્વેદિક ક્લિનિકલ સાયન્સ અને પુરાવા-આધારિત સંશોધનની નિપુણતા પૂરી પાડશે, જ્યારે HFI ધ્યાન, યોગ અને જીવનશૈલી સંબંધિત પદ્ધતિઓનું સંકલન કરશે. બંને સંસ્થાઓ મળીને આરોગ્ય ક્ષેત્રે નવી પદ્ધતિઓ વિકસાવશે.

ભાગીદારી હેઠળ શૈક્ષણિક આદાનપ્રદાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો માટે વિનિમય કાર્યક્રમો, સંયુક્ત સંશોધન પ્રકલ્પો, ક્ષમતાવર્ધન તેમજ બૌદ્ધિક સંપદા વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આનાથી બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને સંશોધકોને અદ્યતન જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત થશે.

પર્યાવરણીય ટકાઉપણું અને વૈશ્વિક વિઝન

આ કરારમાં પર્યાવરણીય ટકાઉપણાનો પણ સમાવેશ કરાયો છે. કેમ્પસમાં જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓનું સંરક્ષણ અને ગ્રીન ઇનિશિયેટિવ્સ હાથ ધરીને એક ટકાઉ મોડેલ તૈયાર કરાશે. ITRAના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના જણાવ્યા મુજબ, આ સહયોગ આયુષ મંત્રાલયના વિઝન સાથે સુસંગત રહીને રોગપ્રતિકારક આરોગ્યસંભાળ અને આયુર્વેદના વ્યવહારુ ઉપયોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપશે.