Gujarat

અલિયાબાડા-જામનગર નવી બ્રોડગેજ લાઈન રેલવે સેફ્ટી કમિશનરનું નિરીક્ષણ

રાજકોટથી કનાલુસ વચ્ચે ચાલી રહેલા નવી બ્રોડગેજ રેલવે લાઈનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શુક્રવારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા અલિયાબાડાથી જામનગર વચ્ચે નવનિર્મિત રેલવે લાઈનનું સફળતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે.

આ વિશેષ તપાસ મુખ્યત્વે ભવિષ્યમાં આ રૂટ પર હાઈ-સ્પીડ ટ્રેનોના સુચારુ અને સુરક્ષિત પરિચાલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કમિશનર શ્રીનિવાસ દ્વારા ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને અન્ય સુરક્ષા પાસાઓની બારીકાઈથી ચકાસણી કરી હતી. સમગ્ર ઇન્સ્પેક્શન બાદ તેઓએ નવી લાઈનની કામગીરી અને ગુણવત્તા અંગે પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

રેલવેના અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, સેફ્ટી કમિશનરની લીલી ઝંડી મળતાં જ આજથી જ આ નવી બ્રોડગેજ લાઈન પર વધુ ઝડપે ટ્રેનો દોડાવવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિરીક્ષણ કામગીરી દરમિયાન રાજકોટ ડિવિઝનના ઉચ્ચ રેલવે અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. આ નવી લાઈન કાર્યરત થવાથી આ વિસ્તારના રેલ વ્યવહારને વધુ ઝડપી અને સુગમ બનાવવામાં મોટી મદદ મળશે.