જામનગર શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગોવિંદભાઈ અધેરા અને ડ્રાઇવર અજયસિંહ સોઢા મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા.

ત્યાં આરોપીઓ મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરાએ પોલીસ સાથે જીભાજોડી કરી હતી. તેમણે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલને ઝાપટ મારવાનો પ્રયાસ કરી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસ મથકે બંને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સીટી એ-ડિવિઝનના પીઆઈ વિપુલસિંહ ડોડિયા, પીએસઆઈ વસંત ગામેતી અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ધરપકડ બાદ આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ત્યાર બાદ તેમને દરબારગઢ પોલીસ ચોકી લાવવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન બંને આરોપીએ ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

