દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાન પ્રત્યે અનાદર દર્શાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે જામનગર ભાજપ યુવા મોરચા (BJYM) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. BJYM દ્વારા શહેરમાં કેન્ડલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આક્ષેપ મુજબ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની હાજરીમાં આ પવિત્ર રાષ્ટ્રગાન પ્રત્યે અનાદર દર્શાવવામાં આવ્યો હતો. જામનગરમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં યુવા મોરચાના હોદ્દેદારો, ભાજપના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તેઓએ હાથમાં કેન્ડલ અને દેશભક્તિની તક્તિઓ સાથે ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી કોંગ્રેસના વલણની ટીકા કરી હતી.
આ કેન્ડલ માર્ચ લાલ બંગલા સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે યુવા મોરચાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ એ ભારતની આઝાદીના સંગ્રામનો મંત્ર અને કરોડો દેશવાસીઓની શ્રદ્ધાનું પ્રતિક છે. રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાનનું કોઈપણ સ્થળે અપમાન સહન કરવામાં આવશે નહીં.

