‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. ભાવિકોએ શિવલિંગ પર જલાભિષેક, રુદ્રાભિષેક અને બિલિપત્ર સહિતની પૂજા-અર્ચના કરી હતી. અનેક મંદિરોમાં આ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.

વર્તમાન સમયમાં કોલેરા અને ચાંદીપુરા સહિતના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. શહેરના વિવિધ શિવાલયો અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી સઘન બનાવવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને સ્વચ્છતા જળવાઈ રહે.

શહેરમાં ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને વિવિધ શિવાલયોના દ્વારે બંદોબસ્તમાં તૈનાત કરાયા હતા. મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર સરળ રહે તે માટે શિવમંદિરોની આસપાસ ટ્રાફિક પોલીસના જવાનો પણ ફરજ પર હતા.

