Gujarat

પાઈલટ ટ્રેનિંગ સેન્ટર’ને નિકાસ માટે કાર્ગો પ્લેનની સુવિધા, 2027 સુધીમાં 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટની બદલાશે તસવીર

જૂનાગઢ જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને નવાબી કાળના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત અને અભૂતપૂર્વ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ એરપોર્ટના સંપૂર્ણ આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ માટે અંદાજે 363 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં અનેક નવી તકો ઊભી થશે.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે દેશ-વિદેશમાં કારકિર્દી બનાવવા માટેના મોટા દ્વાર ખૂલી જશે. આ આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેશોદ એરપોર્ટની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મજબૂત બનશે અને પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે.

મોટા એરક્રાફ્ટનું સરળતાથી લેન્ડિંગ થશે ​કેશોદ એરપોર્ટના ડાયરેક્ટર રાજકપૂર મીનાએ જણાવ્યું હતું કે, અત્યારે કેશોદ એરપોર્ટ પર વર્તમાનમાં માત્ર ATR 72 પ્રકારના એરક્રાફ્ટ, જેને ટેકનિકલ ભાષામાં આપણે કોડ-3 એરક્રાફ્ટ પણ કહીએ છીએ, તેને જ લેન્ડિંગ કરવા માટેની મર્યાદિત ફેસિલીટી ઉપલબ્ધ છે.

પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે જે નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, આ તમામ વિકાસ કાર્ય સંપૂર્ણપણે કમ્પ્લિટ થયા પછી કેશોદ એરપોર્ટની ક્ષમતામાં વ્યાપક વધારો થઈ જશે. આ એરપોર્ટ પર એરબસ 320 જેવા મોટા કદના પેસેન્જર એરક્રાફ્ટને પણ ખૂબ જ સરળતાથી લેન્ડ કરવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ જશે.