જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ સમાન રંગમતી નદીને પ્રદૂષણમુક્ત રાખવા અને તેની સ્વચ્છતા જાળવવા માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ (DLSA), હોમગાર્ડઝ અને જામનગર મહાનગરપાલિકા (JMC) ના સંયુક્ત ઉપક્રમે આ ‘સ્વચ્છતા સંદેશ’ રેલી યોજાઈ હતી.

આ જાગૃતિ રેલી શહેરના આદર્શ સ્મશાન પાસેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરીને સિધ્ધનાથ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નદીમાં કચરો ફેંકતા અટકાવવાનો અને જામનગરના નાગરિકોને નદી પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીનું ભાન કરાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ નદીના અસ્તિત્વને બચાવવા માટે મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા. DLSA ના સચિવ અનિકેત શુક્લાએ જણાવ્યું હતું કે રંગમતી નદી જામનગરની શાન છે અને તેનું ભવિષ્ય અંધકારમય ન બને તે જોવાની જવાબદારી સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે કાનુની સેવા સત્તા મંડળ આ કાર્ય માટે કટિબદ્ધ છે.

જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડઝના જવાનોને આ સેવામાં જોડીને લોકોને નદી સ્વચ્છ રાખવા માટે નમ્ર અપીલ કરી હતી.

આ રેલીમાં DLSA ના સચિવ, પેરા લીગલ વોલન્ટીયર્સ અને એડવોકેટ મિત્રો, હોમગાર્ડઝના જવાનો અને અધિકારીઓ તેમજ JMC ના સફાઈ વોરિયર્સ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રંગમતી નદીને ગંદકીથી બચાવવી એ માત્ર તંત્રનું જ નહીં, પરંતુ દરેક જામનગરવાસીનું કર્તવ્ય છે.

