Gujarat

જામનગરમાં ભાજપના નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા શરૂ

જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો જામનગર પહોંચ્યા હતા.

પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને સંગઠન સંયોજક રાજુભાઈ પટેલ નિરીક્ષક તરીકે જામનગર આવ્યા હતા. તેમણે શહેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત કોર્પોરેટરો સાથે વ્યક્તિગત અને સામૂહિક રીતે ચર્ચા કરી મંતવ્યો મેળવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકોમાંથી ભાજપના ૬૦ કોર્પોરેટરો ચૂંટાયા છે, જેમાં 30 મહિલા અને 30 પુરુષ સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ કોર્પોરેટરોના મંતવ્યોના આધારે પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે.

આ બેઠકમાં જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે અને ભાવેશભાઈ ઠુમમર સહિતના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના અગ્રણીઓએ નિરીક્ષકો સમક્ષ વિવિધ રાજકીય સમીકરણો અને સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ પાર્ટી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. આ અહેવાલના આધારે ટૂંક સમયમાં જ જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર થવાની સંભાવના છે.

શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બનતા હવે સૌની નજર મેયર સહિતના મહત્વના પદાધિકારીઓના નામ પર ટકેલી છે. શહેર ભાજપના કાર્યકરો અને નગરજનોમાં આ નામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.