International

યુકેમાં થેમ્સ નદી પર પ્રથમ વખત ગંગા આરતી યોજાઈ, હજારો લોકો એકત્ર થયા

થેમ્સ નદીના કિનારે સૌપ્રથમ વખત ‘ગંગા આરતી‘નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ‘ગંગા આરતી ઓન ધ થેમ્સ: અ સેરેમની ઓફ લાઈટ‘ (થેમ્સ પર ગંગા આરતી: પ્રકાશનો ઉત્સવ) નામનો આ કાર્યક્રમ વાર્ષિક ‘ટોટલી થેમ્સ ફેસ્ટિવલ‘ના સહયોગથી ચિનમય મિશન યુકે દ્વારા યોજવામાં આવ્યો હતો.

આરતીનું નેતૃત્વ કરનારા ચિનમય મિશન યુકેના વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદે જણાવ્યું હતું કે, લંડનમાં થેમ્સના કિનારે “પરંપરા, સંસ્કૃતિ અને જ્ઞાનના આધ્યાત્મિક પ્રવાહને દર્શાવવા તથા મા ગંગાનું આહ્વાન કરવા” માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે મીડિયા ને કહ્યું હતું કે, “જ્યારે આપણી પાસે ભક્તિ અને સમર્પણનું એક સમાન સ્થાન હોય છે, ત્યારે આપણે બધા આપણા મતભેદો બાજુ પર મૂકીને હૃદયની ઊંડાણમાં રહેલી ભાવના વ્યક્ત કરવા માટે એકત્રિત થઈએ છીએ. આ ભાવના એકતા, પ્રેમ અને સુમેળની છે – જે જ્ઞાન ગુરુદેવ સ્વામી ચિનમયાનંદ હિમાલયની ઊંચાઈઓમાંથી લાવ્યા હતા અને જેના માટે તેમને મા ગંગા તરફથી પ્રેરણા મળી હતી.”

તેમણે કહ્યું, “તેમણે પોતાનું સમગ્ર જીવન વેદાંતના આ જ્ઞાનના પ્રસાર માટે સમર્પિત કર્યું; આ જ્ઞાન આપણને શીખવે છે કે તમામ તફાવતો અને ભેદોથી પર થઈને, તમારામાં, મારામાં અને દરેક વ્યક્તિમાં એક અવિભાજ્ય સત્ય રહેલું છે.”

ચિનમય મિશન યુકેના નિવાસી શિક્ષિકા બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્યએ જણાવ્યું હતું કે ગંગા નદી જ્ઞાનના પ્રવાહનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે તમામ જીવસૃષ્ટિનું પોષણ કરતી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે લોકો નદીના કિનારે એકત્રિત થયા છે. તેમણે કહ્યું કે થેમ્સ નદી પર યોજાયેલી આ આરતીએ લોકોને “કૃતજ્ઞતા, આશા અને એકતાની સહિયારી ક્ષણમાં એકસાથે” લાવ્યા છે.

તેમણે મીડિયા સુત્રોને કહ્યું, “અમારા સ્થાપક સ્વામી ચિનમયાનંદે હિન્દુ ધર્મની મહાન દાર્શનિક પરંપરાઓમાંની એક એવી વેદાંતની શાશ્વત જ્ઞાનધારાને હિમાલયમાંથી લોકોના રોજિંદા જીવન સુધી પહોંચાડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. જ્યારે આપણે ચિનમય મિશનના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ કાર્યક્રમ તે વારસાની પણ ઉજવણી છે – જ્ઞાન, સેવા અને કૃતજ્ઞતાનો વારસો જે સીમાઓથી પર થઈને વહી રહ્યો છે.”

ચિનમય મિશન વિશે માહિતી

ચિનમય મિશન એ ૧૯૫૧માં સ્થપાયેલું એક વૈશ્વિક આંદોલન છે, જે આંતરિક પરિવર્તન અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત છે. તે વેદાંતના શાશ્વત જ્ઞાન પર આધારિત છે અને પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિનમયાનંદના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે.

આજે, વિશ્વભરમાં મિશનના ૩૫૦થી વધુ કેન્દ્રો કાર્યરત છે, જે આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ અને સેવાકીય પહેલો દ્વારા સમુદાયોને સહાય પૂરી પાડે છે. યુકેમાં, ચિન્મય મિશન યુકે જીવનના દરેક તબક્કા માટે કાર્યક્રમો પ્રદાન કરે છે – જેમાં બાળકો અને કિશોરોથી લઈને યુવાનો, પરિવારો અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે.

એક ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘ટોટલી થેમ્સ‘ એ ૧૯૯૭થી ચાલતો એક ઉત્સવ છે, જેનો ઉદ્દેશ્ય કલાના કાર્યક્રમો, પર્યાવરણીય પહેલ, વારસો અને શિક્ષણ કાર્યક્રમો દ્વારા થેમ્સ નદીની ઉજવણી કરવાનો છે.

આ વર્ષે તેના કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ અને સંપૂર્ણપણે ટિકિટો વેચાઈ ગઈ હોય તેવો ‘ગંગા આરતી‘નો પ્રથમ કાર્યક્રમ, ભવિષ્યમાં તેને વાર્ષિક ધોરણે નિયમિતપણે યોજાતી ઘટનામાં ફેરવી શકે તેવી શક્યતા છે.