National

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ૯૯% વાટાઘાટો પૂર્ણ, થોડા દિવસોમાં થશે મોટી જાહેરાત

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. ગોયલે કહ્યું કે, બંને દેશો વચ્ચેની ડીલનું લગભગ ૯૯ ટકા કામ પૂરું થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની મોટી જાહેરાત થઈ શકે છે. ટ્રેડ ડીલ ફાઇનલ કરવા માટે બેથી ચાર જૂન દિલ્હીમાં બેઠક યોજાવાની છે. અમેરિકાના સીનિયર ટ્રેડ અધિકારીઓનું મોટા ડેલિગેશને ભારત આવવાની શરૂઆત કરી દીધી છે. ગોયલે કહ્યું કે, હવે બંને દેશો વચ્ચે ડીલ સંબંધીત મોટા મુદ્દા અંગે કોઈ વિવાદ નથી, માત્ર નાની ટેકનિકલ બાબતો સુધારવાની બાકી છે. ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમેરિકા સાથે ફાઇનલ ડીલ થતાં જ બંને દેશોનો વેપાર આગળ વધતો થઈ જશે. આનાથી બંને દેશની અર્થવ્યવસ્થાને લાભ મળવાનું શરૂ થઈ જશે.

તેમજ વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સમજૂતી મામલે પોતાના હિતો પર અડગ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન માર્કેટમાં અન્ય દેશો કરતાં વધુ તક ન મળે તેવી કોઈપણ સમજૂતી માટે અમે તૈયાર નથી. ભારત ઇચ્છે છે કે, અમેરિકાના નવા ટૅરિફ નિયમોમાં કરાયેલા ફેરફારોને સમજૂતીમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવે. નવા ટૅરિફ દર કેટલા હશે, તે પણ સેક્શન-૩૦૧ તપાસ્યા બાદ નક્કી કરાશે. આ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયા બાદ અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને વાણિજ્ય મંત્રી ગોયલ વચ્ચે એક મોટી બેઠક યોજાશે, જેમાં ડીલને અંતિમ રૂપ આપવામાં આવશે.