સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગૂજરાત વિદ્યાપીઠનાં ગ્રામસેવા કેન્દ્રોનો સર્વોદય મેળો ૧૯૫૦થી યોજાતો આવ્યો છે. દર વર્ષે યોજાતા આ મેળામાં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત આશ્રમશાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓના વિદ્યાર્થીઓ ઉમંગભેર ભાગ લેતા હોય છે. શિક્ષકો જહેમત ઉઠાવી નક્કી કરવામાં આવ્યા મુજબના વિષયને સુસંગત કૃતિઓ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષે સર્વોદય મેળો તા. ૧૨-૨-૨૦૨૩રવિવારના રોજ દેથલી મુકામે યોજાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓ, વનસ્પતિ, સજીવ ખેતી, શાકભાજી, સોલર ઊર્જા, હાથ બનાવટનું ગ્રાસ કટર, પેપર કટીંગ દ્વારા તૈયાર કરેલાં નમૂનાના પ્રોજેક્ટ આધારિત પ્રદર્શન સરાહનીય હતાં. ગ્રામ વિસ્તારની આશ્રમ શાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓના વિદ્યાર્થીઓની તેમના પ્રોજેક્ટ અંગેની રજૂઆતમાં સાહજિકતા છલકતી જોવા મળી હતી. વિદ્યાર્થી સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીનાં જીવન પ્રસંગોની રજૂઆત અને ગાંધીગીતોની રમઝટ આનંદપ્રદ હતી. ૮૫ વર્ષના સતત સક્રિય શ્રી ઉદેશીદાદાએ સર્વોદય મેળાના પ્રારંભ અને આજ સુધીનાં આયોજનો વિશે છણાવટ કરી. ડૉ. નીતિનભાઈ ઢાઢોદરાએ સરસ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર પ્રો. ભરત જોષી દ્વારા પણ આ કાર્યક્રમમાં આ સર્વોદય મેળાના બાળકોને વક્તવ્ય આપવાનો અવસર પ્રદાન થયેલ. આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ઉમંગભેર ભાગ લે તે માટે સૌ શિક્ષકોની મહેનત કાબિલે તારીફ હતી. સંયોજક ડૉ. પ્રવિણ દુલેરાનું આયોજન, આમંત્રિત મહેમાન શિક્ષકોની ભૂમિકા આકર્ષક હતી. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસમાં અને મૂલ્યો ઘડવામાં બહુ કામમાં આવે છે. કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આ પ્રકારે પહેલા ધોરણથી દસમા ધોરણના વિદ્યાર્થીઓને સંબોધિત કરવાનો લ્હાવો મળ્યો હોય તે ઘટના પણ ઘણી સૂચક ગણાય.


