ઉજ્જૈન
મહાશિવરાત્રિની સાંજે જ્યોતિર્લિંગ ‘મહાકાલ’ ઉજ્જૈન નગરી ૨૧ લાખ દીવાઓથી ઝગમગી ઉઠી હતી. મોક્ષદાયિની શિપ્રા નદીના કિનારે સાંજના સમયે આ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. સત્તાવાર જાહેરાત પહેલા જ કેટલાક ઘાટો પર વહેલી સવારે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં દીવાઓ પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉજ્જૈન પહોંચ્યા હતા. આ પછી હૂટર વાગતાની સાથે જ તમામ દીવા પ્રગટી ગયા હતા. આ પછી રેકોર્ડ માટે લેમ્પની ગણતરી કરવામાં આવી હતી. આ માટે ઘાટની વીજળી બંધ કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ બોટમાં બેસીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. સીએમએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કાર્યક્રમ માટે તૈયાર કરાયેલા ગીતો – મહાશિવરાત્રી કા શુભ દિવસ હૈ, ઉજ્જયિની દેખો આજ મગન હૈ, જય ગૌરી શંકર, શિવ જ્યોતિ અર્પણ એકસાથે ઉજવો… ગાવામાં આવ્યા હતા. આ અદ્ભુત અને અવિસ્મરણીય ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લાખો લોકો મુખ્યમંત્રી સાથે એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે ‘શિવ જ્યોતિ અર્પણમ’ નામનો આ કાર્યક્રમ ઝીરો વેસ્ટ કોન્સેપ્ટ પર આધારિત હતો, જેમાં વપરાયેલી દરેક સામગ્રીનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે. ઇવેન્ટના એક દિવસ પહેલા, સ્થાનિક વહીવટીતંત્રે કેદારેશ્વર ઘાટ, સુનહરી ઘાટ, દત્ત અખાડા ઘાટ, રામ ઘાટ અને ભુખી માતાના મંદિર તરફના ઘાટ પર દીવાઓ પ્રગટાવવા માટે બ્લોક મુજબની વ્યવસ્થા ગોઠવી હતી. કુલ ૯૩૩૩ બ્લોક બનાવવામાં આવ્યા. દરેક બ્લોકમાં ૨૨૫ દીવા રાખવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર તમામ દીવા પ્રગટાવવા ૨૦ હજાર વોલેન્ટિયરની નિમણૂંક કરવામાં આવી હતી. તેને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે ૧૦ મિનિટની સમય મર્દાયામાં દીવા પ્રગટાવી પાછળ હશે, જેથી આગામી પાંચ મિનિટમાં ડ્રોન કેમેરાથી પ્રજ્જવલિત દીવાની ફોટો-વીડિયોગ્રાફી કરી શકાય. જણાવી દઈએ કે ગયા વર્ષે મહાશિવરાત્રી પર ઉજ્જૈને એક સાથે ૧૧ લાખ ૭૧ હજાર દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ગયા વર્ષે અયોધ્યાએ એક સાથે ૧૫ લાખ ૭૬ હજાર દીવા પ્રગટાવીને આ રેકોર્ડ તોડ્યો હતો.
