અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા તથા તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જાેડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતીઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્ણાટકના બેંગલોર ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના ગૃહ અને બિન નિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યુ છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતે આજે તા.૨૬મી માર્ચ ૨૦૨૩ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટક રાજ્યમાં જુદા-જુદા ૮૪ જેટલા ગુજરાતી સંગઠનો અને સમાજાે છે. જે અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અત્યાર સુધી ૪૪૮૦ જેટલા ગુજરાતી ભાઇ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સાંજે ૦૫ઃ૦૦ કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે અને બપોરના સેશનમાં જૂથ ચર્ચાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત અમરેલી, અમદાવાદ અને કચ્છ જિલ્લાના અગ્રણી ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરશે.
આ કાર્યક્રમમાં કર્ણાટક રાજ્યના જુદા જુદા શહેરોના આમંત્રિત બિન-નિવાસી ગુજરાતીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરી, સિદ્ધિઓ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવમાં આવશે અને કર્ણાટક રાજ્યના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા કર્ણાટક અને બેંગ્લોરમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા મહાનુભાવોનું સન્માન કરાશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રીશ્રી બસવરાજ બોમ્માઇજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આમંત્રિત મહેમાન તરીકે રાજ્યના ગૃહ અને બિન નિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યમંત્રી હર્ષ સંધવી, કર્ણાટકના સંસદસભ્ય પી.સી.મોહન, સંયુકત ગુજરાતી સમાજ કર્ણાટકના પ્રમુખ કાંતિભાઇ પટેલ, એન.આર.આઇ. પ્રભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાંથી પધારેલ ગુજરાતી સમાજના પ્રમુખો, આગેવાનો અને ગુજરાતી ભાઇ-બહેનો ઉપસ્થિત રહેશે.
